વડોદરા શહેરના અલકાપુરી ગરનાળા પાસે આવેલી હોટલ સુદર્શન પેલેસના પાંચમા માળેથી કૂદીને એક અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જોકે આપઘાત કરનાર યુવક કોણ છે અને ક્યાંથી આવ્યો છે, તે અંગે હજી સુધી કોઇ જાણકારી મળી શકી નથી.
યુવાને આપઘાત કર્યો તે હોટલ સુદર્શન ઘણા સમયથી બંધ હાલતમાં છે
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં હોટલ સુદર્શન પેલેસ આવેલી છે. આ હોટલ ઘણા સમયથી બંધ હાલતમાં છે. હોટલ સુદર્શન પેલેસના પાંચમા માળેથી એક અજાણ્યો યુવક કૂદી ગયો હતો. જેને પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ ગોત્રી પોલીસને જાણ કરી હતી. જેથી ગોત્રી હોસ્પિટલ સ્થળ પર દોડી ગઇ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને યુવકની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી છે. યુવકના પરિવારજનો મળ્યા બાદ જ તેના આપઘાતનું સાચુ કારણ જાણી શકાશે.
6 ઓક્ટોબરે સયાજીગંજ વિસ્તારની હોટલમાં ફાઇનાન્સરે આપઘાત કર્યો હતો
આ પહેલા 6 ઓક્ટોબરે વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમિટી હોટલમાં અમદાવાદના ફાઇનાન્સરે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશભાઇ પટેલે નાણાંની લેવડ-દેવડમાં આપઘાત કર્યો હોવાની વિગતો તેમને લખેલી સુસાઇડ નોટમાં બહાર આવી હતી. જેમાં આરોપી નાર્ગાજુન મોઢવાડિયા, ભરતભાઇ ભુતીયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઇ, અનિરૂદ્ધસિંહ(રહે, સનાથલ ગામ), મુકેશભાઇ વાઘેલા(રહે, ગોધાવી ગામ), લાલો વાઘેલા(રહે ગોધાવી ગામ), લકી વાઘેલા(રહે, ગોધાવી ગામ), ભરતસિંહ જોધા અને અમિત ખુટ(રહે, બાપુનગર, અમદાવાદ) સામે ગુનો નોંધાયો હતો. જોકે પોલીસે અમદાવાદ અને પોરબંદરમાં તપાસ કરી હોવા છતાં હજી સુધી એક પણ આરોપીનો પત્તો લાગ્યો નથી.