કોરોના મહામારીના પગલે છેલ્લા સાત મહિનાથી બંધ મલ્ટીપ્લેક્સ 15 ઓકટોબરથી શરૂ કરવા માટે કેંદ્ર સરકારે મંજૂરી આપી છે. ત્યારે કેંદ્ર તરફથી મલ્ટિપ્લેક્સ માટે એસઓપી જાહેર કરવામા આવી છે. આ બાદ હવે રાજ્ય સરકારે પણ ગાઈડલાઈન બહાર પાડી છે. જોકે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને જ અનુસરવાની વાત કહી છે.
સિનેમાઘરો શરતો સાથે ખોલવાની મંજૂરી મળતાં ગુજરાત મલ્ટિપ્લેક્સ સિનેમા એસોસિએશનના હોદ્દેદારોએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.
ગુજરાત મલ્ટિપ્લેક્સ સિનેમા એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ અજય બગડાઇએ જણાવ્યું હતું કે છેલ્લા ૬ મહિનામાં રાજકોટના તમામ સિનેમાઘર માલિકોને કુલ ૧૦ થી ૧૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
તેમણે કહ્યું કે સરકારે સિનેમાઘર ખોલવા છૂટછાટ તો આપી પરંતુ હાલમાં કોઈ નવી ફિલ્મ આવવાનો વિકલ્પ ના હોવાથી દર્શકોને જુની ફિલ્મો બતાવવી પડે તેવી સ્થિતી છે.
પ્રેક્ષક સિનેમાઘરમાં ફિલ્મ જોવા આવે તે પણ નક્કી નથી. તે સંજોગોમાં સંગઠન દિવાળીના એક અઠવાડિયા પહેલા તમામ થિયેટરો શરૂ કરવા વિચારી રહ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે મલ્ટિપ્લેકસ માલિકો સિનેમાઘરો શરૂ કરવાની તૈયારી દર્શાવશે તો સરકારની તમામ ગાઇડલાઇન મુજબ શો શરૂ કરવામાં આવશે.
ગાઈડલાઈન અનુસાર 15 ઓક્ટોબરથી 50 ટકા કેપેસિટી સાથે મલ્ટિપ્લેક્સ શરૂ કરી શકાશે. બે સીટ વચ્ચે એક સીટ ખાલી છોડવાની રહેશે. ખાલી સીટ પર નોટ ટુ બી ઓક્યુપાઈડ લખવાનું રહેશે. હોલની અંદર જ પેક્જડ ફૂડની જ મંજૂરી આપવામા આવશે. આ સાથે જ સિનેમા હોલની અંદર યોગ્ય વેન્ટિલેશનની વ્યવસ્થા કરવી પડશે. એસીનું ટેમ્પરેચર 23 ડિગ્રી પર રાખવાનું રહેશે.
આ ઉપરાંત શો દરમિયાન કોરોના અવેરનેસ માટે 1 મિનિટની ફિલ્મ દેખાડવાની રહેશે. એક શો પુરો થયા પછી હોલને સેનેટાઈઝ કરવામાં આવશે, પછીથી લોકો આવીને બેસી શકશે. સિંગલ સ્ક્રીન સિનેમા હોલમાં ટિકિટ બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડશે. ઓનલાઈન ટિકિટ બુકિંગને પ્રોત્સાહન આપવા સૂચન કરવામા આવ્યું છે.