શહેરમાં કોરોનાના દર્દીઓને શોધી કાઢવા મ્યુનિ.એ અન્ય રાજ્યોમાંથી શહેરમાં પ્રવેશતા લોકોનું કોરોના ટેસ્ટિંગ હાથ ધર્યું છે. પરંતુ અન્ય રાજ્યોમાંથી રોજ 14થી 15 ટ્રેનો કાલુપુર રેલવે સ્ટેશને આવે છે. મ્યુનિ. હેલ્થ ટીમ ફક્ત ચાર ટ્રેન રાજધાની એક્સપ્રેસ, હાવડા એક્સપ્રેસ, મુજફ્ફરપુર – અમદાવાદ એક્સપ્રેસ અને ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસના પેસેન્જરોની જ તપાસ કરેે છે. જ્યારે આ ટ્રેનની સાથે જ જો કોઈ અન્ય ટ્રેન આવે તો તેમને ચેક કર્યા વગર સીધા બહાર જવા દેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, શું હેલ્થ વિભાગને આ ચાર ટ્રેનમાં જ કોરોનાના દર્દીઓ મળે છે? બાકીની ટ્રેનમાં આવતા પેસેન્જરો સ્વસ્થ હોય છે?
રેલવે દ્વારા અમદાવાદની 14થી 15 ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ટ્રેનોમાં અન્ય રાજ્યમાંથી આવતા પેસેન્જરો દ્વારા શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે સ્ટેશન પર પેસેન્જરોની તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ હેલ્થ વિભાગ દ્વારા દિવસ દરમિયાન આવતી ફક્ત ચાર ટ્રેનના પેસેન્જરોની જ તપાસ કરવામાં આવે છે. બુધવારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 165 કેસ નોંધાયા હતા. જ્યારે 4 દર્દીઓના મૃત્યુ થયા હતા.
આ ટ્રેનમાં તપાસ કરાતી નથી
- સાબરમતી એક્સપ્રેસ
- ગુજરાત સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
- આશ્રમ એક્સપ્રેસ
- જબલપુર-સોમનાથ એક્સપ્રેસ
- આગરાકેન્ટ-અમદાવાદ એક્સ.
- સૂર્યનગરી એક્સપ્રેસ
- કર્ણાવતી એક્સપ્રેસ
- દાદર-ભૂજ એક્સપ્રેસ
- યશવંતપુર
આ ચાર ટ્રેનમાં કોરોનાની તપાસ થાય છે
- રાજધાની એક્સપ્રેસ
- હાવડા એક્સપ્રેસ
- મુજફ્ફરપુર-અમદાવાદ એક્સ.
- ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ