મહાકુંભમાં નાસભાગ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તે હવે સંસદ સુધી પહોંચી ગયા છે. વિપક્ષી સાંસદોએ મહાકુંભ નાસભાગ મામલે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર વિરુદ્ધ રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા અને ગૃહમાંથી વોકઆઉટ કર્યું.
મહાકુંભમાં નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા: ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે મહાકુંભમાં તાજેતરમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા. ખડગેના આ દાવા પર ગૃહમાં હોબાળો થયો અને અધ્યક્ષ જગદીપ ધનખરે તેમને નિવેદન પાછું ખેંચવા કહ્યું.
આ મામલે પીટીઆઈના જણાવ્યા અનુસાર ખડગે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ઉપલા ગૃહમાં ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘તાજેતરમાં મહાકુંભમાં થયેલી નાસભાગ દરમિયાન હજારો લોકોના મોત થયા હતા.’ તેમના નિવેદન પર શાસક પક્ષના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.
ખડગેને દોષ આપવા માટે મેં આ કહ્યું નથી
રાજ્યસભામાં વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે, ‘આ મારો અંદાજ છે અને જો તે સાચો નથી તો તમારે સરકારે જણાવવું જોઈએ કે સાચો આંકડો શું છે.’
આ મામલે ખડગે વધુમાં કહ્યું કે, ‘મેં કોઈને દોષ આપવા માટે ‘હજારો’ નથી કહ્યું. પરંતુ ઓછામાં ઓછા કેટલા લોકો માર્યા ગયા તેની માહિતી આપો. જો હું ખોટો હોઉં તો હું માફી માંગીશ. તેઓએ કેટલા લોકો માર્યા ગયા અને કેટલા ગુમ થયા તેના આંકડા આપવા જોઈએ.’
જાણો શું છે મામલો
29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે સ્નાન દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સરકાર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 30 લોકોના મોત થયા છે. ખડગેએ કહ્યું, ‘હું મહાકુંભમાં માર્યા ગયેલા લોકોને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, કુંભમાં માર્યા ગયેલા ‘હજારો લોકોને.’ જો કે, આ શબ્દોનો શાસક પક્ષના સભ્યોએ વિરોધ કર્યો હતો.