રામ નવમી નિમિત્તે શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થનારી શોભાયાત્રામાં કોઇ અડચણ ઉભી ના થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તેમજ ગત વર્ષે થયેલા કાંકરીચાળા પછી એક શોભાયાત્રાનો રૃટ પણ બદલી નાંખવામાં આવ્યો છે. જેના કારણે એક સાથે એક જ સ્થળે શોભાયાત્રા ભેગી ના થાય.
રામ નવમી નિમિત્તે શહેરમાં પ્રભુ શ્રીરામની નીકળનારી શોભાયાત્રાને લઇને પોલીસ દ્વારા અઠવાડિયાથી જ તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી હતી. શહેરના અતિ સંવેદનશીલ એવા કુંભારવાડા વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રા તેના નિયત રૃટ પર આગળ વધશે. ડીસીપી પન્ના મોમાયાએ આ વિસ્તારમાં રહેતા બંને કોમના આગેવાનો સાથે ત્રણ વખત શાંતિ સમિતિની બેઠક યોજી હતી. શોભાયાત્રા કોમી એખલાસભર્યા વાતાવરણમાં નિર્વિઘ્ને પસાર થાય તે માટે બંને કોમના આગેવાનોને કેટલાક સૂચનો આપ્યા હતા. કોઇ પણ અરાજકતા ના ફેલાય તે માટે તકેદારી રાખવા જણાવ્યું હતું. આ ઉપરાંત શોભાયાત્રામાં સામેલ ડી.જે.સિસ્ટમના માલિકો તથા ઓપરેટર સાથે પણ ત્રણ વખત મીટિંગ યોજી છે. સમગ્ર વિસ્તારમાં બે વખત કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં રામનવમીની શોભાયાત્રાને અનુલક્ષીને એસ.આર.પી.ની વધુ ત્રણ કંપની ફાળવવામાં આવી છે. જે પૈકી એક કંપની કુંભારવાડાની શોભાયાત્રા માટે રહેશે.આ ઉપરાંત ગત વર્ષે થયેલા કાંકરીચાળાને ધ્યાને રાખી હરણી વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રા સંગમ ચાર રસ્તાથી આગળ નહીં વધે. આ શોભાયાત્રા પાણીની ટાંકી રોડ પર થઇ શ્રીનાથ પેટ્રોલ પંપ થઇ પરત એલ એન્ડ ટી સર્કલ આવી પરત જશે.