- Advertisement -
બાલાસિનોર ખાતે આવેલા સરકારી ગોડાઉનમાં ટેકાના ભાવે બાજરી વેચવા આવેલા ખેડૂતોને હાલાકીઓ ભોગવી પડી હતી. સોમવારે પરોઢે ચાર વાગ્યાથી ખેડૂતો બાજરી વેચવા આવી પહોંચ્યા હતા, પરંતુ મજૂરોના અભાવે કલાકો સુધી ભૂખ્યા તરસ્યા બેસી રહેવું પડતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.ટેકાના ભાવે બાજરીની ખરીદી ચાલી રહી છે. ત્યારે બાલાસિનોર સરકારી ગોડાઉન ખાતે ૧૦થી વધુ ખેડૂતો ટ્રેક્ટરો લઈ પરોઢે ચાર વાગે બાજરી વેચવા આવી પહોંચ્યા હતા. પરંતુ સરકારી ગોડાઉનમાં મજૂરો ન હોવાથી ખેડૂતો પાસેથી બાજરી ખરીદવામાં આવી ન હતી.
બપોર થઈ જવા સુધી ખેડૂતો પાસેથી બાજરી ખરીદવામાં ન આવતાં ખેડૂતો ભૂખ્યા અને તરસ્યા કલાકો સુધી ટ્રેક્ટર લઈને બેસી રહ્યા હતા. વારંવાર ગોડાઉન મેનેજર અને કોન્ટ્રાક્ટરનું ધ્યાન દોરવા છતાં પણ મજૂરોના અભાવે ખેડૂતોની બાજરી ખરીદવામાં આવી ન હતી. આ અંગે ખેડૂત વિજય ચૌહાણે કહ્યું હતું કે, એક તરફ વરસાદી માહોલ છે એટલે ઝડપથી બાજરી વેચાઈ જાય તે માટે ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી ગયા હતા, પરંતુ મજૂરો ન હોવાથી ખરીદી કરવામાં આવતી નથી અને અમે પરેશાન થઈ ગયા છીએ. જ્યારે આ મુદ્દે બાલાસિનોર સરકારી ગોડાઉનના મેનેજરે કહ્યું હતું કે, દરરોજ મજૂરો હોય છે, પરંતુ આજે જ નથી તેવો જવાબ આપવામાં આવ્યો હતો. બપોર સુધી ખેડૂતો રાહ જોઈને બેઠા હતા અને ઝડપથી ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવામાં આવે તેવી માંગણી કરી હતી. એક તરફ ખેડૂતોને બાજરીના ટેકાના ભાવ મળે તે માટે ખરીદી શરૂ કરવામાં આવી છે પરંતુ અપૂરતી સુવિધાઓને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.