અમદાવાદ. કેન્દ્ર સરકાર દ્વારા આજથી ટ્રેન સેવા શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે અમદાવાદથી નવી દિલ્હીની ટ્રેન સાબરમતી રેલવે સ્ટેશનથી સાંજે 6.25એ રવાના થઈ હતી. સ્ટેશનની બહાર જ તમામ પેસેન્જરોનું સોશિયલ ડિસ્ટન્સ સાથે થર્મલ ગનથી સ્કેનિગ કરવામા આવ્યું હતું. જેમાં 41 પેસેન્જરોનું તાપમાન 100 ઉપર આવતાં તેઓને ટ્રેનમાં બેસવા દેવામાં આવ્યા ન હતા. 100થી નીચે જે પેસેન્જરનું તાપમાન હોય તેને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. 1000 જેટલા પેસેન્જરો ટ્રેનમાં દિલ્હી ગયા હતા. થર્મલ ગનથી ચેકિંગ દરમ્યાન જે 41 પેસેન્જરનું 100 ઉપર તાપમાન આવતા તેઓને બહાર સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. બાદમાં ફરીથી ત્રણ વાર તેમનું તાપમાન ચેક કરવામાં આવ્યું હતું પરંતુ તેઓનું તાપમાન યથાવત રહ્યું હતું જેથી તેમને ટ્રેનમાં બેસવા દેવામાં આવ્યા ન હતા.