પાકિસ્તાનની પોલીસે દેશના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની પુત્રી અને વિપક્ષના નેતા મરિયમ નવાઝ પર દેશદ્રોહનો કેસ નોંધ્યો છે. મરિયમની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નાવઝ (PML-N)એ 44 કાર્યકર્તાઓને પણ આ કેસમાં આરોપી બનાવ્યા છે. મરિયમ અને તેના પાર્ટી કાર્યકર્તાઓ પર ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો આરોપ છે. પોલીસનું કહેવું છે કે તેમણે ભાષણમાં લોકોને પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડવાની વાત કરી છે. એવું પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં કાયદાની વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
આ બધાની વચ્ચે ઈસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે પાકિસ્તાનમાં નવાઝનાં ભાષણો પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે રાજકીય કેસમાં કોર્ટના સંવૈધાનિક અધિકારોનો ઉપયોગ ઠીક નથી. દેશના લોકો પોતાના પસંદ કરાયેલા પ્રતિનિધિઓ દ્વારા પાકિસ્તાનનાં હિતનું રક્ષણ કરી શકે છે. માત્ર રાજકીય ભાષણ આપવાથી પાકિસ્તાનને જોખમ નહીં થાય.
નવાઝ વિડિયો-કોન્ફર્સિંગ દ્વારા ભાષણ આપી રહ્યા છે
70 વર્ષના નવાઝની લંડનમાં છેલ્લા નવેમ્બરથી સારવાર ચાલી રહી છે. કોર્ટ દ્વારા વારંવાર સમન્સ મોકલ્યા છતાં નવાઝ હાજર થયા નથી. આને લીધે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. નવાઝ વિડિયો-કોન્ફર્સિંગ દ્વારા પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરે છે. તેમની પાર્ટીએ ઈમરાન સરકાર સામે ચળવળ શરૂ કરવા માટે સાત બીજી પાર્ટીઓ સાથે પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ(PDM) બનાવી છે. તેમની ઘણી બેઠકમાં પણ તેમણે વિડિયો-કોન્ફર્સિંગથી ભાગ લીધો.
11 ઓક્ટોબરના રોજ PDMની પ્રથમ રેલી
આ બધાની વચ્ચે PDM વિપક્ષી પાર્ટીઓના સાંસદોને સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે મનાવવાની કોશિશ થઈ રહી છે. સરકાર પર દબાણ લાવવા માટે વિપક્ષી સાંસદો એક સાથે રાજીનામા આપી શકે છે. દેશના રાજકારણમાં સેનાની દખલથી પાર્ટીઓ નારાજ છે. આ રેલી પહેલાં ગઠબંધનમાં સામેલ થનારા નેતાઓની ધરપકડ કરાઈ રહી છે અથવા તો તેમના ઉપર ગંભીર કેસ કરાઈ રહ્યા છે.