કાશ્મીરના પહલગામ પાસે બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોને ગોળી મારી હત્યા કરી અને 20ને ગંભીર રીતે ઘાયલ કરતા આ આતંકવાદી હુમલા સામે આજે સતત ત્રીજા દિવસે સૌરાષ્ટ્રમાં તીવ્ર આક્રોશ અને મૃતકો પ્રતિ ભારોભાર સંવેદના જોવા મળ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ સમાજે ઠેરઠેર મૃતકોને શ્રધ્ધાંજલિ આપીને આતંકવાદીઓને જડમૂળથી ઉખેડવા અને હવે કડકમાં કડક પગલા લેવા સરકાર પાસે માંગણી કરી હતી. ભાજપ,કોંગ્રેસ,હિન્દુ,મુસ્લિમ તેમજ તમામ વર્ગ,જાતિ,સમાજના લોકોએ એક સૂરમાં રસ્તા પર ઉતરી પડીને આ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો છે.
મોરબી અને ટંકારાએ આજે આતંકી હુમલાના વિરોધમાં અર્ધો દિવસ સજ્જડ બંધ પાળીને તથા વિહિપ દ્વારા મૌન રેલી યોજીને અને આતંકવાદના પુતળાનું દહન કરીને રોષ વ્યક્ત કર્યો હતો. મોરબીના નગર દરવાજા અને નવા બસ સ્ટેન્ડ પાસે યુવા અગ્રણીઓએ રસ્તા ઉપર પાકિસ્તાની ધ્વજ દોરીને તેના પર રાહદારીઓ,બાઈક વગેરે પસાર થવા દઈને રોષ વ્યક્ત કરાયો હતો.ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકી હુમલો કરનાર ધ રેઝીસ્ટન્ટ ફ્રન્ટ ત્રાસવાદી ગુ્રપ લશ્કર-એ-તોયબા સાથે જોડાયેલ છે જેને પાકિસ્તાન પાળીપોષી રહ્યાનો લોકોમાં રોષ છે.
સૌરાષ્ટ્રમાં ઠેરઠેરથી મળતા અહેવાલો મૂજબ (1) રાજકોટમાં ભાજપના ધારાસભ્યો,શહેર પ્રમુખ સહિત હોદ્દેદારોની વિશાળ હાજરીમાં ઉપસ્થિત રહી મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી અને આતંકવાદના પુતળાનું દહન કરાયું હતું, તેમજ કોંગ્રેસ દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ હતી. (2) વેરાવળમાં સાગરપુત્ર ખારવા સમાજ દ્વારા સહિત યોજાયેલ ભાગવત કથાઓમાં કથાકારોએ મૃતકોને શ્રધ્ધાંજલિ આપીને આતંકવાદીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરી હતી તેમજ તા. 29ના પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું થયેલું આયોજન રદ કરીને તે દિવસે બિલેશ્વર મંદિર ખાતે સાંજે 5 વાગ્યે શોકસભાનું આયોજન કરાયું છે. (3) ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા માંડવી ચોક ખાતે સંતો,અગ્રણીઓની મોટી સંખ્યામાં યોજાયેલી પ્રતિકાર સભા સાથે પુતળા દહન કરાયું હતું. નિર્દોષ પ્રવાસીઓ પર હુમલાને કાયરતા ગણાવીને પાકિસ્તાન સામે ભારત સરકાર હજુ પણ આકરા પગલા લે તેવી માંગ કરાઈ હતી. (4) ઉપલેટામાં શહીદ ભગતસિંહ ચોકમાં સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. (5) તાલાલામાં સનાતન સંગઠન મંડળ દ્વારા મુખ્યમાર્ગો પર મૌન રેલી નીકળી હતી અને મૃતકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરાઈ હતી. અખાત્રીજ, પરશુરામ જયંતિના દિવસે મૃતાત્માના આત્માની શાંતિ માટે બ્રહ્મસમાજ દ્વારા યજ્ઞાનું આયોજન કરાયું છે. (6) પોરબંદરમાં કલેક્ટર કચેરી ખાતે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાનું આયોજન કરાયું હતું જેમાં એસ.પી.,ધારાસભ્ય,કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓએ બે મમિનિટ મૌન પાળી શોક વ્યક્ત કર્યો હતો. (7) ધોરાજી વિહિપ,બજરંગદળ દ્વારા ત્રણ દરવાજા આઝાદ ચોક ખાતે આતંકવાદનું પુતળાદહન યોજાયું હતું અને મૃતકોને શ્રધ્ધાંજલિ અપાઈ હતી. (8) જામનગર નજીક ફલ્લાના આતંકવાદના હુમલા સામે ઉગ્ર આક્રોશ સાથે વિહિપ,બજરંગદળ દ્વારા પુતળાદહન કરાયું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર તમામ ધર્મ,જાતિ-સમાજમાં આતંકવાદ સામે રોષની સાથે મૃતકો પ્રતિ સહાનુભૂતિ વ્યક્ત કરાઈ હતી. મુસ્લિમ સમાજે ઠેરઠેર આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે જેમાં (૧) રાજકોટ સમસ્ત મુસ્લિમ સમાજે વડાપ્રધાનને અનેક આગેવાનોની સહીથી અપાયેલા આવેદનમાં કાશ્મીરમાં પાકિસ્તાન તરફી આતંકવાદીઓએ ટુરીસ્ટોને મોતને ઘાટ ઉતાર્યા તેને વખોડી કાઢીને જણાવ્યું છે કે ઈસ્લામમાં આતંકવાદને કોઈ સ્થાન નથી અને કોઈ આતંકી હુમલો કરે તે મુસ્લિમ નથી રહેતો. આતંકી હુમલા માટે ઈંટનો જવાબ પથ્થરથી આપવા રજૂઆત કરાઈ છે.