નવરંગપુરામાં રહેતા વેપારી અને તેમના મિત્ર પાસેથી રૂ.1.57 કરોડ લઈ પાછા નહીં આપી છેતરપિંડી આચરવાના મામલે પોલીસ ધરપકડથી બચવા માટે સોનાલી ચોકસી અને નયન કલ્યાણભાઈ સુતરિયાએ કરેલી આગોતરા જામીન અરજી એડીશનલ સેશન્સ જજ પ્રીત કમલ તીથરામે ફગાવી દીધી છે કોર્ટે નોંધ્યુ છે કે આરોપીઓ વિરુધ્ધ પુરતા પુરાવા છે. આરોપીઓનું કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન કરવા માટે પોલીસમાં હાજરી જરુરી છે. આ ગુનામાં અગાઉ શહેર ક્રાઇમ બ્રાંચે મુંબઈથી ઋષભ ચૌકસીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. બાદમાં મેટ્રોપોલીટન કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.
જયારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર તેજલ પ્રદીપભાઈ ચોકસી વોન્ટેડ નવરંગપુરામાં રહેતા સંજીવ શાહે ક્રાઈમ બ્રાન્ચમાં કરેલી ફરિયાદ અનુસાર, 2010 માં તેજલએ ઘર પરની લોનના હપ્તા ન ભરતા બેંકે પ્રોપર્ટી સીલ કરી હતી, ત્યારે સંજીવભાઈએ લોનના બાકીના તમામ હપતા અને અન્ય ડ્યુ ક્લીયર કરવા માટે કુલ મળી 95 લાખ તેજલભાઈને આપ્યા હતા, જેની સામે તેમને ચંદનબાળાવાળું મકાન, માણેકચોક ખાતે આવેલી દુકાનનો દસ્તાવેજ સિક્યુરિટી પેટે આપ્યો હતો. જોકે ત્યારથી આજ સુધી તેમની પાસેથી લીધેલા રૂપિયા તેમ જ તેમના મિત્ર કલ્પેશભાઈ શાહ પાસેથી બીજા 18.36 લાખ લઈ પરત નહીં આપી, કુલ રૂ.1.57 કરોડની છેતરપિંડી કરી હતી.
ક્રાઈમ બ્રાંચમાં તેજલ ચોકસી, સોનાલી ચોકસી, ઋષભ ચોકસી (તમામ રહે. ચંદનબાળા ફ્લેટ, પાલડી) અને નયનભાઈ કલ્યાણભાઈ સુતરિયા (રહે. તુલસી વિહાર સોસાયટી,ખાનપુર)સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. દરમ્યાનમાં સોનાલી ચોકસી અને નયનભાઈ સુતરિયાએ પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી.જેમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યુ હતુ કે આરોપીઓ દ્વારા 1.52 કરોડની ઠગાઈ આચરવામા આવી છે. આરોપીઓની પોલીસ તપાસમાં હાજરી જરુરી છે. જેથી આગોતરા જામીન અરજી ફગાવી જોઈએ. ત્યારબાદ કોર્ટે બન્ને જણાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે.
નોંધનીય છે કે, પોલીસની તપાસમાં બહાર આવ્યુ હતુ કે, તેજલ ચોકસી અને ઋષભ ચોકસીએ ભેગા મળીને ફરિયાદીને નાણાં ન આપવા માટે કાનૂની પ્રકિયા હાથ ધરી હતી આટલુ જ નહીં ઋષભ ચોકસીના પિતા તેજલ ચૌકસી તેમના કહ્યામાં નહીં હોવાની નોટિસો પણ આપવામાં આવી હતી. તેજલ ચોકસીને ચેક પરત ફરવાના કેસમાં સેશન્સ કોર્ટે સજા ફરમાવતા તે કોર્ટમાંથી ફરાર થઈ ગયો હતો. બાદમાં હાઈકોર્ટમાં ફરિયાદી સાથે સમાધાન કર્યુ હતુ પરંતુ કોર્ટે ફટકારેલ દંડની રકમ ભરપાઈ કરી નહોતી.