- મક્કા મદીના ગયેલો યુવાન 4 દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો અને બીમારી સપડાયો
- રાજકોટમાં વધુ ચાર કેસો શંકાસ્પદ, નમૂના જામનગર પરીક્ષણ માટે મોકલાયા
- નાયબ આરોગ્ય અધિકારીએ કહ્યું રિપોર્ટ મોડી રાત્રે અથવા કાલે સવારે આવે તેવી શક્યતા
- શરદી અને તાવની તકલીફ થતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે.
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તંત્રએ પોઝિટિવ કેસ સમજી તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 17 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા હતા. જેને લઇને આરોગ્ય વિભાગમાં ઉચાટ જોવા મળી રહ્યો છે અને રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. નાયબ આરોગ્ય અધિકારી પી.પી. રાઠોડે CN24NEWS ને જણાવ્યું છે કે, રિપોર્ટ મોડી રાત્રે અથવા કાલે સવારે આવે તેવી શક્યતા છે. આજે 19 માર્ચે વધુ ચાર કેસ શંકાસ્પદ નોંધાયા છે. ચારેય વ્યક્તિના લોહીની નમૂના જામનગર પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. ચારેય વ્યક્તિ વિદેશથી આવ્યા હતા અને કોરોનાના લક્ષણ જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જંગલેશ્વરમાં આરોગ્ય વિભાગની 40 ટીમોએ 18 હજારથી વધારે ઘરોમાં સર્વે કર્યો છે. સર્વેમાં 225 કર્મચારીઓ જોડાયા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે. રિપોર્ટ આવે તે પહેલા તંત્ર દોડતું થયું છે.
મક્કા ગયેલો યુવાન ચાર દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો
જંગલેશ્વરમાં રહેતા 43 વર્ષનો યુવાન મક્કા મદીના ગયો હતો અને ત્યાંથી ચાર દિવસ પૂર્વે જ રાજકોટ આવ્યો હતો. રાજકોટ આવ્યા બાદ તેમને શરદી અને તાવની તકલીફ થતાં મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કોરોનાની શંકાએ યુવાનના લોહી, કફના નમૂના લઇ જામનગર લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. જામનગર લેબોરેટરીમાં સેમ્પલ પરથી નિદાન સ્પષ્ટ થયું નહોતું અને કોરોનાની શંકા દ્રઢ બનતા સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલી દેવાયા છે.
17 લોકોને કવોરન્ટાઇન કર્યાં
રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ CN24NEWS ને જણાવ્યું હતું કે, જામનગરની લેબોરેટરીમાં પૃથક્કરણ બાદ કોઇ બાબત સ્પષ્ટ નહીં થતાં વધુ નિદાન માટે સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને તેના રિપોર્ટ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. બીજીબાજુ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને પણ કહ્યું હતું કે, દર્દીનો રિપોર્ટ હજુ સુધી સ્પષ્ટ થયો નથી, પરંતુ સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને તકેદારીના પગલાં શરૂ કરી દેવાયા છે. વૃદ્ધના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા 17 લોકોને કવોરન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પથિકાશ્રમ અને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. યુવકનો રિપોર્ટ હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ આ વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ જતાં યુવકને કોરોના હોવાની ચર્ચા જોરશોરથી શરૂ થઇ ગઇ હતી.
76 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ
સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડની ઉપર બીજા માળે આવેલા આઈસોલેશન વોર્ડની સામે આવેલા ટીબી વોર્ડ તેમજ નીચેના માળે આવેલા પ્રસુતિ વિભાગના દર્દીઓની સલામતી માટે તેમની લિફ્ટ અલગ કરી દેવામાં આવી છે તેમજ તેમના એક જ સંબંધીને હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેરમાં હાલ 76 લોકો કોરોનાના શંકાસ્પદ કેસ હોવાથી આરોગ્ય વિભાગે તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખ્યા છે. કોરોના વાઇરસને લઇને રાજકોટ બાન લેબની ઉત્તરાખંડ અને હિમાચલ ખાતે ફેક્ટરીમાં મોટાભાગના ડિપાર્ટમેન્ટ બંધ કરી દીધા છે. જેમાં 700 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે.
શંકાસ્પદ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને ખસેડવા પડે તો કલેક્ટર દ્વારા 6 સ્થળ નક્કી કરાયા
શંકાસ્પદ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોને ખસેડવા પડે તો કલેક્ટર દ્વારા 6 સ્થળની વ્યવસ્થા ગોઠવાઇ છે. માલિયાસણ નજીક ત્રિમૂર્તિ મંદિરના 9 રૂમ અને 2 હોલ, કાલાવડ રોડ ઉપરની એક 2000 બેડ ધરાવતી સમરસ બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ, યુનિવર્સિટી રોડ પર આવેલા એમ્પલોયઝ ટ્રેનીંગ સેન્ટરનો સમાવેશ કરાયો છે. તેમજ જંગલેશ્વર વિસ્તારમાં સવારથી કોર્પોરેશન, કલેક્ટર તથા પોલીસની 22 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. શંકાસ્પદ કોરોના યુવાનના ઘરની આસપાસના 60 મીટરના વિસ્તારમાં ટીમો દ્વારા તપાસ કરાઇ છે.