ઉત્તર પ્રદેશના બારાબંકીમાં રામસનેહીઘાટ પરિસરમાં બનેલા વિવાદિત સ્થળને પ્રશાસને લોકડાઉનમાં તોડી પાડીને તેનો કાટમાળ પણ ખસેડી લીધો છે. જિલ્લાધિકારીએ પોતાના નિવેદનમાં તે વિવાદિત સ્થળને ગેરકાયદેસર પરિસર ગણાવ્યું હતું. જો કે, સુન્ની વક્ફ બોર્ડ અને સમાજવાદી પાર્ટીએ પ્રશાસનની કાર્યવાહીને ખોટી ગણાવી છે.
પ્રશાસને 17 મેના રોજ વિવાદિત સ્થળને તોડી પાડીને તેનો કાટમાળ પણ ખસેડાવી લીધો ત્યાર બાદ રામસનેહીઘાટ ખાતેનું વિવાદિત સ્થળ ચર્ચામાં આવ્યું હતું. રામસનેહીઘાટના એસડીએમ દિવ્યાંશુ પટેલના સરકારી આવાસ સામે બનેલા વિવાદિત ધાર્મિક સ્થળ ખાતે રહેતા લોકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
ત્યાર બાદ ત્યાં રહેતા 3 લોકો આઈડી જમા કરાવ્યા વગર જ ફરાર થઈ ગયા હતા. બાદમાં એસડીએમએ ધાર્મિક સ્થળના દરવાજાને હટાવી બાઉન્ડરી બનાવી તેને પોતાના કબજામાં લઈ લીધું હતું. તહસીલ પ્રશાસન દ્વારા ધાર્મિક સ્થળે રહેતા લોકોને નોટિસ મળી ત્યાર બાદ પક્ષકાર હાઈકોર્ટની શરણમાં પણ ગયા હતા.
હાઈકોર્ટે 15 દિવસની અંદર પ્રશાસનને મસ્જિદ ખ્વાજા ગરીબ નવાજ અલ મંસૂરના ખાતાકીય પેપરો અને સુન્ની વક્ફ બોર્ડમાં નોંધણીનું પ્રમાણ જમા કરાવવા આદેશ આપ્યો હતો. આ દરમિયાન પ્રશાસને વિવાદિત સ્થળે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. આ મામલે પોલીસે 39 નામજોગ અને 150 અજ્ઞાત વિરૂદ્ધ કેસ નોંધીને અનેક લોકોને જેલમાં મોકલ્યા હતા.