વારાણસી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેવાના છે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી તેમની આ બીજી મુલાકાત છે. અહીં તેઓ વૃક્ષારોપણ અને પાર્ટીની સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે.
કાશી વિસ્તારના ભાજપ મીડિયા પદાધિકારી સોમનાથે જણાવ્યું કે, મોદી એરપોર્ટથી સીધા હરહુઆ ગામ પહોંચશે. અહીં તેઓ પંચ કોસી માર્ગ પર આવેલી આનંદ કાનન નવ ગ્રહ વાટિકા (પ્રાથમિક વિદ્યાલય)માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં સામેલ થશે. સ્કૂલની નવગ્રહ વાટિકામાં મોદી સાથે 20 બાળકો પણ વૃક્ષારોપણ કરશે. ત્યારપછી તેઓ હસ્તકલા સંકુલ બડાલાલપુર માટે રવાના થશે. અહીં અંદાજે 3 હજાર લોકોને સદસ્યતા અભિયાન અંતર્ગત પાર્ટી સાથે જોડશે. મોદી હસ્તકલા સંકુલમાં 50 વૃક્ષમિત્રો સાથે પણ મુલાકાત કરશે. મોદી માન મહલ ઘાટ પર આવેલા આભાસીય સંગ્રાહલયની પણ મુલાકાત લે તેવી પણ શક્યતા છે. રૂ. 10 કરોડના ખર્ચે બનેલા આ સંગ્રાહલયમાં શહેરની ખાણી-પીણી, પહેરવેશ, તહેવારને ડિજીટલ રીતે દર્શાવવામાં આવ્યા છે.
ગઈ વખતે 27મેના રોજ આવ્યા હતા મોદી
લોકસભા ચૂંટણી પછી મોદીની તેમના સંસદીય વિસ્તારની આ બીજી મુલાકાત છે. આ પહેલાં તેઓ 27મેના રોજ મતદારોને બહુમતીથી જીતાડવા માટે આભાર માનવા ગયા હતા. શનિવારના કાર્યક્રમને ધ્યાનમાં રાખીને પ્રાથમિક વિદ્યાલયની દીવાલો પર પર્યાવરણ સાથે જોડાયેલા ચિત્રો બનાવવામાં આવ્યા છે.
પહેલાં કાર્યકાળમાં 19 વખત લીધી હતી કાશીની મુલાકાત
મોદી તેમના કાર્યકાળમાં 19 વખત વારાણસી આવ્યા હતા. તેમણે અહીં ઘણાં કાર્યક્રમોમાં ભાગ લીધો અને ઘણી વાર કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કર્યા હતા.