કોવિડ અને કમનસીબીની રાશિ એક છે. આ રોગના વર્તમાન બીજાં મોજાની ખાસિયત એ છે કે, બહુધા નવજાતથી લઈને 12થી 13 વર્ષની ઉંમર સુધીના બાળકોમાં સંક્રમણ જોવા મળ્યું છે અને તેમને આ ચેપ મોટેભાગે વડીલો પાસે થી મળે છે. પોઝિટિવ સગર્ભા પોઝિટિવ શિશુને જન્મ આપે એવા કિસ્સા નોંધાયા છે. તેની સાથે બાળપણથી જ કુપોષણ, લોહીની અછત, ન્યૂમોનિયા, કિડની જેવા રોગોથી પીડિત એટલે કે કો મોર્બિડ બાળકોમાં સંક્રમણ વધુ જોવા મળ્યું છે.
એક બાળકની સારવાર લગભગ સાડા ત્રણ સપ્તાહ કરતા પણ વઘુ લાંબી ચાલી
વડોદરાની સયાજી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં બાળ સંક્રમણના આસાર જણાતા જ 10 પથારીની પીડીયાટ્રીક કોવિડ ફેસિલીટી બાળ રોગ વિભાગમાં ઊભી કરવામાં આવી છે, જે 23 જેટલા વધુ પડતાં સંક્રમિત બાળકોની સઘન ઇન્ડોર સારવારમાં ખૂબ ઉપયોગી નીવડી છે. લાંબમાં લાંબી સારવારની વાત કરીએ તો વિવિધ પ્રકારના સહ રોગો ધરાવતા એક બાળકની સારવાર લગભગ સાડા ત્રણ સપ્તાહ કરતા પણ વઘુ લાંબી ચાલી, પરંતુ, એ બાળક આખરે સ્વસ્થ થતાં સૌને ભગવાને બોનસ આપ્યું હોય એવી પ્રતીતિ થઈ છે.
21 બાળકને અમે સ્વસ્થ અને હેમખેમ ઘેર મોકલાયા
કોવિડ ઓપીડીમાં ચેપની સંભાવનાવાળા કુલ 135 બાળકોના નિદાન દરમિયાન 71 નેગેટિવ જણાયા અને 64 પોઝિટિવ પૈકી 41 બાળકો ખૂબ ઓછા લક્ષણો ધરાવતા હોવાથી ઘર સારવાર હેઠળ મૂક્યા એવી જાણકારી આપતાં બાળ રોગ વિભાગના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું હતું કે, બાકીના 23 બાળકોને વધુ લક્ષણો અને સહ રોગો હોવાથી અંદરના દર્દી તરીકે અમારા વિશેષ એકમમાં દાખલ કરીને સઘન સારવાર આપવાની જરૂર પડી. આ પૈકી બે બાળકો જે વિવિધ સહ રોગોથી પણ પીડાતા હતા. તેમની જિંદગી ખૂબ જહેમત કરવા છતાં ન બચાવી શકાઇ, જ્યારે 21 બાળકને અમે સ્વસ્થ અને હેમખેમ ઘેર મોકલી શક્યા.
એક જ પરિવારના 3 બાળકો સંક્રમિત થઇને સાજા થયા
તેમણે જણાવ્યું હતું કે, ઓછા લક્ષણો વાળા બાળકો મોટેભાગે શરદી, ખાંસી અને તાવ જેવા સામાન્ય લક્ષણો ધરાવતા હતા. જેમની ઘર સારવાર શક્ય બની. ઘર સારવારની ભલામણ કરવામાં આવી તે પૈકી પાછળથી એક કે, બે બાળકોને દાખલ કરવાની જરૂર પડી હતી. તેમણે દાખલો આપતાં જણાવ્યું કે, એક જ પરિવારના ત્રણ બાળકો સંક્રમિત થયા, એ પૈકી દોઢેક વર્ષના બાળકને દાખલ દર્દી તરીકે સારવાર આપવી પડી જ્યારે બે દીકરીઓ ઘર સારવાર હેઠળ સાજી થઈ ગઈ છે.
80થી 85 ટકા બાળકો હોમ ટ્રીટમેન્ટથી જ સાજા થઈ ગયા
ઇન્ડોર સારવારની જરૂર પડી એ પૈકી 5 બાળકો તો તાજા જન્મેલા એટલે કે નવજાત શિશુ હતા. આ લોકો પૈકી કેટલાક ગર્ભમાંથી ચેપ લઈને આવ્યા હતા, તો કેટલાકને કેર ટેકર એટલે કે વડીલોનો ચેપ લાગ્યો હતો. તેને અનુલક્ષીને ડો. શીલા ઐયર જણાવે છે કે, ઘરમાં જો વડીલો સંક્રમિત હોય તો બાળકોને તેમનાથી સલામત અને દૂર રાખવાની ખૂબ કાળજી લેવી જરૂરી છે. લોહીની ઉણપ, કુપોષણ, ન્યૂમોનિયા પીડિત બાળકોમાં ચેપની અસર વધુ જણાઈ હતી. કેટલાક બાળકો ને લોહી પણ ચઢાવવું પડ્યું. રાહતની વાત એ રહી કે સંક્રમણ વાળા બાળકો પૈકી 80થી 85 ટકા બાળકો હોમ ટ્રીટમેન્ટથી જ સાજા થઈ ગયા છે.
માતા-પિતા અને વડીલોને પી.પી.ઇ.કીટ પહેરીને બાળ દર્દી સાથે રહેવાની વ્યવસ્થા કરી
સામાન્ય રીતે સંક્રમણની પ્રકૃતિ હોવાથી કોવિડના વયસ્ક દર્દીઓ સાથે એમના સ્વજનોને રહેવાની છૂટ નથી, પરંતુ, શિશુ કે બાળ દર્દી માતા પિતા કે વડીલ વગર રહી શકે નહીં. એ ધ્યાનમાં રાખીને બાળ સારવાર વિભાગમાં દર્દી બાળકની સાથે તેના માતા-પિતા કે વડીલને રહેવાની સુવિધા આપવામાં આવી. તકેદારી માટે આ લોકો સ્ટાફની જેમ જ પી.પી.ઇ.કીટ પહેરીને બાળ દર્દી સાથે રહે એવી વ્યવસ્થા રાખી છે.
17 બાળક કુપોષણ, ખુબ ઓછું લોહી, કિડની ટયુમર, લીવરના રોગો જેવી તકલીફો ધરાવતા હતા
જે 23 બાળકોને દાખલ દર્દી તરીકે સારવાર આપી તે પૈકી 17 બાળકો કુપોષણ, ખુબ ઓછું લોહી, કિડની ટયુમર, લીવરના રોગો જેવી તકલીફો ધરાવતા હતા. આ સમયગાળામાં કોવિડની આડઅસર જેવા મલ્ટી ઈનફ્લે મેટરી સિન્ડ્રોમ ઓફ ન્યૂ બોર્નની તકલીફ ધરાવતા 14 બાળકોને પણ આ વિભાગમાં સારવાર આપવામાં આવી હતી.
બાળકોની સારવાર જટિલ અને કુશળતા તથા અનુભવ માગી લેનારી હોય છે
બાળકોની સારવાર વયસ્કો કરતા વધુ જટિલ અને કુશળતા તથા અનુભવ માગી લેનારી હોય છે. સયાજી હોસ્પિટલનો બાળ રોગ વિભાગ ખૂબ નિષ્ઠા સાથે આખું વર્ષ જરૂરી સામાન્ય અને વિશેષ સારવાર દ્વારા બાળ તંદુરસ્તીની કાળજી લે છે. બાળ કોવિડથી તેમાં એક નવો પડકાર ઉમેરાયો.પરંતુ ડો.શીલા ઐયરના અનુભવી નેતૃત્વ હેઠળ તબીબો અને સ્ટાફની સમર્પિત ટીમે આ પડકારનો સકારાત્મક સામનો કરી બાળ દર્દીઓની જીવન રક્ષા કરી છે.