વડોદરાઃશહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી, શહેર નજીકથી પસાર થતી ઢાઢર અને જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં આવેલા પૂરના પાણી ઓસરતા તંત્રએ રાહત અનુભવી છે. આ સાથે સ્થળાંતર કરવામાં આવેલા લોકો પણ હવે પોતાના ઘરોમાં પરત ફરી રહ્યા છે. જોકે, ઓરસંગ નદી ઉપર ડભોઇ અને તિલકવાડાને જોડતો બનાવવામાં આવેલ બ્રિજનો એપ્રોચ તૂટી જતાં પુલ ઉપરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
સપાટીમાં ક્રમશઃ ઘટાડો
શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 17 ફૂટ પહોંચવા સાથે ક્રમશઃ ઘટી રહી છે. સપાટી ઘટવા સાથે નદી કિનારાના વિસ્તારોમાં ભરાયેલા પાણી પણ સંપૂર્ણ ઉતરી જતા લોકોએ તેમજ તંત્રએ રાહત અનુભવી છે. રવિવારે બપોરે દેવ ડેમમાંથી 8000 ક્યુસેક પાણી છોડાતા શહેર નજીકથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની હતી. ઢાઢર નદીમાં આવેલા પૂરથી વાઘોડિયા, ડભોઇ અને વડોદરા ગ્રામ્યના કિનારાના અસરગ્રસ્ત લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઢાઢર નદીના પૂરના પાણી પણ હવે ઉતરી જતાં સ્થળાંતર કરવામાં આવેલા લોકો પોતાના ઘરોમાં પરત ફરી રહ્યા છે.
ઓરસંગ ગાંડીતૂર બની હતી
બે દિવસ પૂર્વે ડભોઇ તાલુકામાં 5 ઇંચ વરસાદ ખાબકવા સાથે સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ઓરસંગ નદીમાં પૂરની સ્થિતી સર્જાઇ હતી. ડભોઇ તાલુકામાં થયેલા ભારે વરસાદમાં ઓરસંગ નદી ઉપર ડભોઇ અને તિલકવાડાને જોડતા બ્રિજનો એપ્રોચ રોડ તૂટી જતાં સવારથી પુલ ઉપરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો.
એપ્રોચ રોડ તૂટી ગયો
ઉલ્લેખનિય છે કે, ઓરસંગ નદી ઉપર બનાવવામાં આવેલા પુલનું ઉદ્ગાટન તા.30-10-018ના રોજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ શરૂ થયાના સાત માસમાંજ તેનો એપ્રોચ રોડ તૂટી જતાં આ બ્રિજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આ કરનાળી જતા માર્ગ ઉપર બનાવવામાં આવેલું નાળું પણ 5 ઇંચ વરસાદમાં તૂટી ગયું છે.