વડોદરા શહેર નજીક સિંધરોટ પાસે મહીસાગર નદીના બ્રિજ પરથી કૂદીને યુવક અને યુવતીએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો હતો. બંનેના મૃતદેહો આજે સવારે મહીસાગર નદીમાંથી મળી આવ્યા હતા. પ્રેમ પ્રકરણમાં બંનેએ આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઇ રહી છે. તેમની બાઈક બ્રિજ પાસે પાસેથી પાર્ક કરેલી મળી આવી હતી. યુવક પાસેથી મળી આવેલા આઇડી પ્રૂફમાં યુવક નાપાડ ગામનો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે યુવતીની ઓળખ થઇ શકી નથી.
સ્થાનિકોએ કિનારા પર તરતી લાશોને બહાર કાઢી
ચોમાસાની સિઝનમાં મહીસાગર નદીમાં નવા નીર આવતા બે કાંઠે વહી રહી છે, તેવા સમયે આણંદ તાલુકાના નાપાડ ગામનો યુવક યુવતી સાથે બાઇક ઉપર સિંધરોટ નજીક મહીસાગર બ્રિજ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ બ્રિજની નજીક આવેલી મકાઇની લારી પાસે બાઇક ઉભી રાખીને ચાલતા થોડેક દૂર ગયા હતા, જ્યાં આ બંનેએ રહસ્યમય સંજોગોમાં મહીસાગર નદીના ધસમસતા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી, જેથી બંને મોતને ભેટ્યા હતા. બંનેની લાશ મહીસાગર નદીના કિનારે તરતી લોક નજરે ચડતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કિનારા પર તરતી લાશોને બહાર કાઢી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી.
યુવતીની ઓળખ છતી કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગામના કેટલાક લોકોએ બ્રિજની આસપાસ તપાસ કરતા એક બિનવારસી બાઈક મકાઇની લારી પાસે પાર્ક કરેલી મળી આવી હતી. મૃતક યુવક પાસેથી મળી આવેલા આઇડી પુરાવામાં યુવક શોહેબ સિકન્દર રાણા નાપાડ ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે, જ્યારે યુવતીની ઓળખ છતી કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
15 જુલાઇએ દોડકા ગામની સીમમાં પ્રેમી-પંખીડાએ આપઘાત કર્યો હતો
આ પહેલા વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાં રહેતા પ્રેમી-પંખીડાએ 15 જુલાઇએ મોડી રાત્રે દોડકા ગામની સીમમાં લીમડાના ઝાડની ડાળી ઉપર દોરીથી ફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી હતી. રૂઢીચુસ્ત સમાજ લગ્નની મંજૂરી આપશે નહીં, તેવા ડરથી પ્રેમી-પંખીડાએ આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. લીમડાના ઝાડની ડાળી ઉપર દોરી બાંધી હાથમાં હાથ નાંખી પ્રેમી પંખીડાએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા દોડકા અને મોક્સી ગામમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.
પંચમહાલના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકા આપઘાત કર્યો હતો
આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના સગીર પ્રેમી અને પ્રેમિકાએ ઝાડ પર એકસાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. ‘સમાજ પ્રેમ સંબંધ નહીં સ્વીકારે’ તેવા ડરથી બંનેએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રાજગઢ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.