વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે કોર્પોરેશન ખાતે વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટોની લ્હાણી કરવાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો અને મેયરને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન મેયર કેયુર રોકડિયાએ વિવાદિત 46 પ્લોટ પાલિકા હસ્તક લેવાનો નિર્ણય કર્યો હતો.
કોંગ્રેસે મેયરને છોડ આપીને અનોખો વિરોધ કર્યો
વડોદરા કોર્પોરેશન દ્વારા વનીકરણના બહાને ગ્રીન બેલ્ટના પ્લોટો ફાળવવામાં આવ્યા હતા, તેમાં ગેરકાયદે બાંધકામ અને કોમર્શિયલ ઉપયોગ થયાની ફરિયાદ થતાં વિવાદ ઉભો થયો છે, ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા મેયરને છોડ આપીને અનોખો વિરોધ કર્યો તો બીજી બાજુ કોંગ્રેસના અગ્રણી નિલેશ બ્રહ્મભટ્ટે મેયરની કાર ઉપર વૃક્ષારોપણ કરી અનોખો વિરોધ કર્યો હતો. મેયરને પાઠવેલા આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ગ્રીન બેલ્ટ વનીકરણના નામે કોર્પોરેશનની કરોડો રૂપિયાની જમીન રાજકીય અને વગ ધરાવતા વ્યક્તિઓને ખાનગી ઉપયોગ માટે ફાળવી દેવા સામે વિરોધ અને જૂના પ્લોટમાં ભ્રષ્ટાચારની તપાસ અને તમામ પ્લોટ કોર્પોરેશન હસ્તક કરવા માગણી કરવામાં આવી હતી.
ઘણા પ્લોટમાં વનીકરણ થયું નથી
જૂના 4 પ્લોટની ફાળવણી જોતાં આશ્ચર્ય થયું કે ફક્ત રાજકીય વ્યક્તિઓ કે વગદાર મળતિયા ટ્રસ્ટોને, ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યોએ, સાંસદસભ્યો વિગેરેને ફાળવેલા છે. જેની જમીનની કિમત 200 કરોડથી વધારે થાય છે. કૌભાંડ અને આશ્ચર્યજનક બાબતએ બહાર આવી છે કે, આમાંથી ઘણા પ્લોટમાં વનીકરણ થયું નથી અને ગ્રીન બેલ્ટમાં ગેરકાયદેસર બાંધકામ કરી પોતાની ખાનગી પેઢીઓ/સંસ્થાઓ દ્વારા સેવાના નામે ગેરકાયદેસર રીતે કમાણી કરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
વૃક્ષારોપણ માટે 80 કરોડ રૂપિયાની અનામત રક્ત પડેલી છે
આવેદન પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વૃક્ષારોપણ માટે 80 કરોડ રૂપિયાની અનામત રક્ત પડેલી છે, જેનું વાર્ષિક વ્યાજ 4 કરોડ મળે છે. કોર્પોરેશન આ વ્યાજના રૂપિયા વૃક્ષારોપણ માટે ન વાપરીને અન્ય જગ્યાએ વાપરે છે. પાછલા 5 વર્ષમાં મીશન-મીલીયન ટ્રીના કાર્યક્રમ છતાં પણ આજ દિવસ સુધી કોર્પોરેશનના શાસકોએ લે-વર્ષના વ્યાજની 4 કરોડની રકમ પણ વાપરી નથી. કોર્પોરેશના 80 કરોડ રૂપિયાની અનામત રકમને જો રીવોલ્વિંગ ફંડ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેના દર વર્ષેના વ્યાજમાં વડોદરામાં તમામ 218 પ્લોટ ગ્રીન થઈ જાય અને આ પ્રાઈવેટ રીતે ખાનગી પેઢીઓ અને રાજકીય નેતાઓને પ્લોટ ન ફાળવવા પડે અને વનીકરણની જગ્યાએ ખાનગી ઉપયોગ ન થાય અને કરોડોનો ભ્રષ્ટાચાર રોકી શકાય.
પ્લોટની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ
આ અંગે મેયર કેયુરભાઈ રોકડીયાએ જણાવ્યું હતું કે, 1991ના ઠરાવ ના આધારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ-અલગ હેતુસર વિવિધ સંસ્થાઓ અને નાગરિકોને ગ્રીન તથા ઓપન પ્લેસના 46 પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી કેટલાક પ્લોટમાં કોઈપણ જાતની એક્ટિવિટી ચાલતી ન હતી જ્યારે કેટલાક પ્લોટમાં ગાર્ડન વિકસાવવામાં આવ્યું હતું જ્યારે અન્ય પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિવાદ બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને અગાઉ ચાર પ્લોટને નોટિસ આપ્યા બાદ વધુ 20 પ્લોટને નોટિસ આપી 4 પ્લોટ પરત લીધા હતા. આ પ્લોટની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ હતી.
વિવાદિત 46 પ્લોટ પરત લેવાની મેયરની જાહેરાત
દરમિયાન આજે મેયર કેયુર રોકડિયાએ તમામ 46 પ્લોટ પરત લઇ પાલિકા પોતે વૃક્ષારોપણ સહિતની એક્ટિવિટી કરશે તેમ જણાવ્યું હતું. સાથે સાથે અત્યાર સુધી પ્લોટ ઉપર સારી કામગીરી કરનારી સંસ્થા અને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.