વડોદરાના તાંત્રિકે કતારગામ વિસ્તારની યુવતી પર તાંત્રિક વિધિ કરીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. વર્ષ 2017માં બનેલા દુષ્કર્મના બનાવની ફરિયાદ 22 ઓક્ટોબરે નોંધાઈ હતી.હાલ આરોપી ભાવનગરની જેલમાં હોવાથી કતારગામ પોલીસે આરોપી હિરેન પુરોહિતનો ભાવનગર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મળવી ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કામિનીએ તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું. લગ્ન બાદ તાંત્રિક પરણેલો હોવાની જાણ થતા ડિવોર્સ લીધા હતા.
પીડિતાના ઘરના સભ્યો પર પણ વિધિ કરી હતી
કતારગામમાં રહેતી 27 વર્ષિય કામિની( નામ બદલ્યું છે)નો પરિવાર સાડીઓના સ્ટોનનો વેપાર કરે છે. વર્ષ 2017માં તેમના પરિવારનો બિઝનેસ સારો ચાલતો ન હતો. ઓળખીતાએ સુચન કર્યું કે, વડોદરાનો તાંત્રિક-જ્યોતિષ હિરેન પુરોહિત પાસે વિધિ કરાવવાથી વેપાર-ધંધો બરાબર ચાલશે. એટલે 2017માં હિરેન નરેન્દ્ર પુરોહિતને સુરત બોલાવાયો હતો. તે કામિનીના ઘરે ગયો અને તેને કહ્યું કે, તેના પર માતાજીના આશિર્વાદ છે. કેટલાક જાદુ પણ કર્યા હતા. જેથી કામિનીના પરિવારજનો તેનાથી પ્રભાવિત થયા હતા. ઘરના તમામ સભ્યો પર તેણે વિધિ કરી હતી. હિરેને વિધિના રૂપિયા પણ લીધા હતા.
એકાંતમાં વિધિ કરવાના બહાને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો
સૌથી છેલ્લે કામિની પર વિધિ કરવાના સમયે હિરેને કહ્યું કે, તેની વિધિ એકાંતમાં કરવી પડશે. જો અનિષ્ટ તત્વો બહાર નીકળશે તો તે બીજાને ચોટી જાય એમ છે. તેણીને અલગ રૂમમાં બોલાવી હતી. ત્યાં તેની પર વિધિ કરીને ઘેનવાળો પ્રસાદ ખવડાવ્યો હતો. તેથી કામિની બેહોશ થઈ ગઈ હતી. ત્યારે હિરેને તેની પર દુષ્કર્મ આચર્યું હતું. કામિનીના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા. ભાવનગરમાં અન્ય દુષ્કર્મની ફરિયાદમાં હિરેનની ધરપકડની ખબર પડતા કામિનીની હિંમત ખુલી હતી અને 22 ઓક્ટોબરે કતારગામ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ભાવનગરની પીડિતાની ફરિયાદ બાદ ફરિયાદ નોંધાવી
ભાવનગરની એક પીડિતા દ્વારા હિરેન પુરોહિત સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. બાદમાં તેને જેલમાં મોકલી આપ્યો હતો. આમ હિરેનના ગોરખધંધા બહાર આવતા કામિની ચોંકી ગઈ હતી. પોતાનું પણ યૌનશોષણ કર્યું હોય આખરે કતારગામ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. જે ગુનામાં કતારગામ પોલીસે હિરેન પુરોહિતની ભાવનગર જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરી હતી.
તાંત્રિક સાથે લગ્ન કરી ડિવોર્સ લીધા હતા
કામિનીએ તાંત્રિક સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તાંત્રિકે પોતે કુંવારો હોવાનું જણાવ્યું હતું. કામિનીના પરિવારે કામિનીને તાંત્રિક સાથે લગ્ન કરવાની ના પાડી તો કામિનીએ ભાગી જવાની ધમકી આપી હતી. બાદમાં કામિનીએ લગ્ન કર્યા હતા. પછી ખબર પડી કે તાંત્રિક પહેલાથી પરણેલો છે અને વિવાદાસ્પદ છે. જેથી 2019માં ડિવોર્સ લઈ લીધા હતા.