અમદાવાદ શહેરના એસજી હાઇવે પરથી વસ્ત્રાપુર પોલીસે કોલસેન્ટરના માલિક પાસેથી રૂ. 65 લાખનો તોડ કર્યો હોવાની ઘટના મામલે રાજ્ય પોલીસવડાના તપાસના આદેશ આપ્યા છે. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી.પી ચુડાસમાને સોંપી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તોડકાંડની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પોલીસકર્મીઓને ક્રાઈમ બ્રાન્ચમાં DySP ડી.પી. ચુડાસમા દ્વારા બોલાવવામાં આવ્યા હતા. સવારથી મોડી રાત સુધી બેસાડી પૂછપરછ કરવામા આવી હતી. ઉપરાંત તેમના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે. આજે સવારથી PSI એમ.બી. જાડેજા અને અન્ય પોલીસકર્મીઓને બોલાવી નિવેદન લેવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં PI વાય.બી. જાડેજાને પણ બોલાવી પૂછપરછ થાય તેવી શકયતા છે. સમગ્ર તોડકાંડમાં નિષ્પક્ષ તપાસ કરાય તેને લઈ લોકોમાં આશા છે.
પાંચ પોલીસકર્મીએ તબક્કાવાર લાખોનો વહીવટ કરી નાંખ્યો
એસજી હાઇવે પરથી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પાંચ પોલીસકર્મીઓ કોલસેન્ટરના પ્રોસેસરને પકડી લાવી હતી. જેમાં કોલસેન્ટર ચલાવતા માલિક સુધી પોલીસે પહોંચી પહેલા 10 લાખ પછી 20 અને છેલ્લે 30 લાખના વહીવટ કરી નાંખ્યો હતો. મોડી રાત સુધીમાં 30 લાખ રૂપિયાનો વહીવટ કરી દેવાયો હતો. પાછળથી વધુ 35 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. રૂ. 65 લાખના તોડની ઘટના પોલીસકર્મીઓમાં ચર્ચાનો વિષય બની ગઈ હતી.
સર્વેલન્સ સ્ટાફના 5 પોલીસે બે વ્યક્તિના મોબાઈલ પકડ્યા હતા
પોશ વિસ્તારના ગણાતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પાંચ પોલીસકર્મીઓએ એસજી હાઇવે પરથી બે વ્યક્તિને મોબાઈલ ફોન સાથે પકડ્યા હતા. મોબાઈલ ફોનમાં તપાસ કરતા અલગ અલગ એપ્લિકેશન મળી આવી હતી. જે બાબતે પૂછપરછ કરવા બંનેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બંનેની પૂછપરછ અને મોબાઈલની તપાસ કરતા કોલસેન્ટરની પ્રોસેસ મળી આવી હતી. ડેટા અને પ્રોસેસ મળી આવતા આ કોલસેન્ટર કોણ ચલાવે છે અને કોને આપે છે તેની પૂછપરછમાં કોલસેન્ટરના માલિકનું નામ ખુલ્યું હતું.
અગાઉ ઝડપાયેલો વ્યક્તિ જ કોલસેન્ટરનો માલિક નીકળ્યો હતો
કોલસેન્ટરના માલિકનું નામ બહાર આવતા જ અગાઉ કોલસેન્ટર કેસમાં ઝડપાયેલો વ્યક્તિ જ કોલસેન્ટરનો માલિક નીકળ્યો હતો. પોલીસે આ તમામ માહિતી ખોલતાં સમગ્ર કેસમાં પૈસાની ઓફરો શરૂ થઈ ગઈ હતી. પહેલા 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. અલગ અલગ વ્યક્તિઓના ફોન અને મોટા બિલ્ડરો તેમજ હસ્તીઓની રૂબરૂ મુલાકાત પોલીસ સ્ટેશનમાં રાતે ચાલુ થઈ ગઈ હતી.
કેસ ન બતાવવા 30 લાખમાં સોદો થયા પછી બીજા દિવસ મોટો સોદો થયો હતો
20 લાખ સુધીની ઓફર થઈ હતી. પરંતુ પોલીસ અધિકારી અને વહીવટદારે યશ લેવા વધુ પૈસા માંગ્યા હતા અને છેવટે 30 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. પોલીસે કોલસેન્ટરના માલિક અને કોલસેન્ટરની પ્રોસેસરનો કેસ નહીં બતાવવા માટે 30 લાખમાં સોદો નક્કી કરી મોડી રાતે જ વહીવટ કરી નાખ્યો હતો. જો કે પોલીસે પોતાની સેફ સાઈડ માટે એક સામાન્ય કેસ કરવાનું પણ નક્કી કરવાનું ડિલમાં કહ્યું હતું અને મોડી રાતે આખો કેસ 30 લાખના પૂરો કરી દેવાયો હતો. જો કે બીજા દિવસે મોટા તોડમાં ફરી 35 લાખ માંગવામાં આવતા બીજા રૂપિયા પણ પહોંચાડવામાં આવ્યા હતા.
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અમુક જ સીસીટીવી ફૂટેજ અપાયા
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂ. 65 લાખના તોડની ઘટના ચર્ચાનો વિષય બની છે. વસ્ત્રાપુર પોલીસ દ્વારા અવારનવાર આ રીતે દારૂના કેસમાં પણ તોડ કરવામાં આવતો હોય છે અને ખુદ પોલીસ સ્ટેશનનો કર્મચારી જ વહીવટ કરે છે. રાજ્યના પોલીસવડાના તપાસના આદેશ બાદ બી ડિવિઝન એસીપી એલ.બી. ઝાલાને તપાસ સોંપાઈ હતી. જેમાં પોલીસ સ્ટેશનના અમુક જ સીસીટીવી ફૂટેજ આપવામાં આવ્યા હતા. PI, PSI અને પોલીસકર્મીઓના નિવેદનો લેવાય હતા. ઉચ્ચ અધિકારીઓએ આ સમગ્ર બાબત પર તપાસ પર છાંટા ઉડે તેવી શક્યતાને પગલે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.