જર્મનીમાં ભારતીય મુળની જૈન સમાજની 17 મહિનાની માસુમ દિકરી “અરીહા” ને ત્યાંની સરકાર દ્વારા માતા-પિતાથી દુર પોસ્ટર કેર સેન્ટરમાં મુકી દીધી હોવાથી તેને પરત ભારતમાં લાવવા માટેની માગ સાથે આજે વેરાવળમાં જૈન સમાજ દ્વારા પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને વિશાળ રેલી યોજી નાયબ કલેકટરને સંવેદનાપત્ર પાઠવી માંગણી કરવામાં આવી હતી.
આજે સવારે વેરાવળ શહેરના રાજમાર્ગો ઉપર જૈન સમુદાયના મહાસતીજીઓ સાથે સમસ્ત જૈન સમાજના આગેવાનો નવીન શાહ, મહેન્દ્ર શાહ, સુરેન્દ્ર શાહ, જયપ્રકાશ ભાવસાર, નગરસેવક ઉદય શાહ સહિતના સમાજના ભાઈઓ-બહેનોએ સ્વેત વસ્ત્રો પહેરીને “જર્મન સરકારના ચંગુલમાંથી અરીહા બેબીને મુક્ત કરાવવા”ના સ્લોગન સાથેના બેનરો હાથમાં લઈને વિશાળ રેલી કાઢી જુદા જુદા માર્ગો ઉપર ફરીને પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં જૈન સમાજના આગેવાનો દ્વારા પ્રધાનમંત્રી મોદીને સંબોધેલ સંવેદનાપત્ર પાઠવ્યું હતું. આ રેલીમાં જૈન સમાજના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જોડાયા હતા.
વેરાવળ જૈન સમાજએ પાઠવેલ સંવેદનાપત્રમાં જણાવ્યું હતું કે, જર્મનીમાં વસતા ગુજરાતના જૈન દંપતિની 17 મહિનાની માસુમ દિકરી અરીહાને જર્મન સરકાર દ્વારા 10 મહિનાથી પરીવારથી વિખુટી પાડીને જર્મનીના પોસ્ટર કેર રાખવામાં આવી છે. કારણ કે માસુમને તેની દાદી દ્વારા કહેવાથી ઈજા થયાની ઘટનાને જર્મન સરકારે બહુ મોટું સ્વરૂપ આપીને અતિ સંવેદનશીલ આરોપો લગાવીને સમગ્ર જૈન સંઘોને સ્તબ્ધ કરી નાખ્યા છે. એટલું જ નહીં આ ગુજરાતી દંપતીને તેમનો કેસ લડવામાં પણ ગેરસમજના બદનામીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે આખરે કોઈ પુરાવા ન મળતા તથા મેડીકલ ટેસ્ટ નેગેટિવ આવતા દંપતી પર ચાલતા ક્રિમિનલ કેસીસ જર્મન સરકારને માર્ચ 2022માં બંધ કરવા પડ્યા હતા. પરંતુ ત્યારબાદ જર્મન સરકાર માતા-પિતા ઉપર સિવિલ કેસ ચાલુ રાખી માનસીક ત્રાસ આપી રહીં છે.
વધુમાં બાળકીનો પાસપોર્ટ પણ ગેરકાયદેસર રીતે જર્મન સરકારે આંચકી લીધો છે. આ બાળકીને તેની મૂળભૂત સંસ્કૃતિથી પણ વિખુટી પાડી દેવાઈ રહી છે. બાળકીને UNCRCના કાયદા મુજબ પોતાના દેશમાં પ્રસ્થાપિત થવાનો પૂરો અધિકાર છે. ગુજરાતની એક દીકરી કાયદાકીય રીતે પોતે હકદાર હોવા છતાં પોતાના દેશમાં જ પરત આવી શકતી નથી. સમગ્ર ઘટનાની હકીકત ભારતીય વિદેશ મંત્રાલયમાં સુપ્રત કરી દેવામાં આવી છે. જર્મનીના કાયદા મુજબ જો આ બાળકી 2 વર્ષની થઈ જશે તો ત્યારબાદ તેણીની કસ્ટડી કાયમી માટે ત્યાંની સરકાર પાસે જ રહેશે. ભૂતકાળમાં યુએસ અને નોર્વેના કિસ્સામાં સરકારના પ્રયત્નથી બાળકીનો કબજો ભારત દેશને મળ્યો છે. જેથી આ કેસમાં ત્વરિત રીતે બાળકીને ભારતમાં પ્રસ્થાપિત કરવાની જરૂર છે. જેથી ભારત સરકાર આ મામલે હસ્તક્ષેપ કરી નિવેડો લાવે તેવી સમસ્ત જૈન સમાજની લાગણી અને માંગણી છે.