દુનિયાભરના લોકો વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ પણ દવાઓથી કોરોના સંક્રમણ રોકવાના પ્રયત્નો શરુ છે. જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ રિસર્ચમાં દાવો કર્યો છે કે નવી એન્ટિવાઈરલ દવા મોલ્નુપીરાવિર કોરોનાવાઈરસનો નાશ કરે છે. આ ઓરલ ડ્રગ છે અને 24 કલાકની અંદર સંક્રમણ રોકે છે. પ્રાણીઓ પર થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં આ સફળતા મળી છે. ટૂંક સમયમાં તેનું હ્યુમન ટ્રાયલ થશે.
ગંભીર સ્થિતિ નહિ થવા દે
મોલ્નુપીરાવિર દવા ફાર્મા કંપની મર્ક અને રિઝબેક ભેગા મળીને બનાવી રહ્યા છે. દાવો કરવામાં આવ્યો છે કે, આ દવાથી દર્દીની તબિયતમાં સુધારો થશે અને ગંભીર સ્થિતિ થતા પણ રોકી શકાશે.
મોલ્નુપીરાવિર દવા એક એન્ટિવાઈરલ ડ્રગ છે. તેની શોધ ઇન્ફ્લુએન્ઝાની સારવાર માટે થઇ હતી. આ ઓરલ ડ્રગ સરળતાથી દર્દીને આપી શકાય છે. દવાનો શોધ કરનારા રિસર્ચ ટીમના હેડ ડૉ. રિચર્ડ પ્લેમ્પરનું કહેવું છે કે, આ વાઈરલ પાર્ટિકલ્સની સંખ્યા ઓછી કરે છે. આ દવા ક્લિનિકલ ટ્રાયલ સફળ રહી. ટૂંક સમયમાં હ્યુમન ટ્રાયલ શરુ થઇ શકે છે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટ્યા
દુનિયામાં ઝડપથી વધી રહેલા કેસ દરમિયાન ભારત માટે સારા સમાચાર છે. એક્ટિવ કેસ મામલે ભારત હવે 7થી 8 નંબર પર પહોંચી ગયું છે. દેશમાં દર્દીઓની સંખ્યા 3,84,000 છે. બાકીના 91,79,000 લોકો સ્વસ્થ થઇ ગયા છે અને 1,41,000 દર્દીઓના મૃત્યુ થયા છે. કુલ 97,05,000 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
એક્ટિવ કેસ મામલે સૌથી ખરાબ પરિસ્થિતિ અમેરિકાની છે. અહિ 60.96 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. 88.83 લાખ લોકો સ્વસ્થ થયા છે. રિકવરી મામલે ભારતની સ્થિતિ ટોપ 10 સંક્રમિત દેશોથી સારી છે. અહિ રોજ 100 દર્દીઓમાંથી 95 લોકો સ્વસ્થ થઇ રહ્યા છે, જ્યારે એકનું મૃત્યુ થઈ રહ્યું છે.