તાજેતરમાં નામીબિયાથી ખાસ વિમાન મારફતે 8 ચિત્તાને મધ્યપ્રદેશના ગ્વાલિયર લાવવામાં આવ્યા છે. જેમાં 5 માદા અને 3 નર ચિત્તા સામેલ છે. જેને મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા છે. ત્યારે હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ટૂંક સમયમાં ગુજરાતના જંગલોમાં પણ ચિત્તા દોડતા જોવા મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ચિત્તા લાવવા કવાયત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને સત્તાવાર વિનંતી કરશે અને ગુજરાતમાં ચિત્તા લાવવાની દરખાસ્ત કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુજરાતના ચિત્તાના આગમન બાદ ટૂરિઝમમાં નોંધપાત્ર વધારો થશે અને સ્થાનિક ઈકો-સિસ્ટમને પણ ફાયદો થશે. તો એવું પણ કહેવાઈ રહ્યું છે કે મધ્યપ્રદેશ સિવાય અન્ય રાજ્યોમાં ચિત્તાને મોકવાની કેન્દ્ર સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર… એક સમયે ડાકુઓના ગઢ તરીકે ઓળખાતું ચંબલ આજકાલ ફરી એકવાર ચર્ચામાં છે… અને તેનું કારણ છે ચિત્તા. વાત એમ છે કે ઓપરેશન ચિત્તા હેઠળ આફ્રિકા ખંડમાંથી 8 ચિત્તા લાવવામાં આવ્યા છે. જેને કુનો નેશનલ પાર્કમાં પ્રધાનમંત્રી મોદીના હસ્તે છોડવામાં આવ્યા હતા.
જંગલનો સૌથી સ્ફૂર્તિલો શિકારી… ઝડપનો રાજા ગણાતા ચિત્તાને ભારત લાવવા માટે નામ્બિયાની સરકાર સાથે એક કરાર થયા છે… આ જ કરાર અંતર્ગત 70 વર્ષ બાદ ભારતમાં ફરી એકવાર ચિત્તા જોવા મળશે. 70 વર્ષ પહેલા 1952માં સત્તાવાર રીતે ચિત્તાને ભારતમાંથી વિલુપ્ત જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારથી વિશ્વના એક મોટા ભૂમિભાગ પર ચિત્તા જોવા ન મળ્યા. પરંતુ હવે સાત સાત દાયકાના લાંબા સમયગાળા બાદ ભારતની ભૂમિ પર ફરી એ જ રફ્તાર, એવી જ લાંબી છલાંગ, અને મજબૂત પંજાથી પ્રહાર કરતા ચિત્તા જોવા મળી રહ્યા છે.