- દવા બનાવવા માટેનો જરૂરી કાચો માલ હવે દરિયાઈ અને હવાઈ એમ બંને રસ્તાથી આવવાનું શરૂ
- કંપનીઓની પાસે હાલ દવા બનાવવા માટે ઓછામાં ઓછા 3-4 મહીનાનો કાચો માલ છે
મુંબઈ: કોરોનાના સંકટની વચ્ચે ચીનની મદદ વગર ભારત ત્રણથી ચાર મહિના સુધી દવાઓનું ઉત્પાદન કરવા સક્ષમ છે. તેના કારણે દવાઓના ભાવ વધે તેવી શકયતા નથી. તેના બે મુખ્ય કારણ છે. હવે ચીનમાંથી દવા બનાવવાના કાચા માલના કન્સાઈનમેન્ટ દરિયાઈ અને હવાઈ બંને રસ્તેથી આવવાના શરૂ થઈ ગયા છે. ઈન્ડિયન ડ્રગ મેન્યુફેકચર્સ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેકટર અશોક કુમાર મદાને cn24ને જણાવ્યું કે ચીનમાંથી દવા બનાવવાનો કાચો માલ હવે આવી રહ્યો છે. દરિયાના રસ્તે આવનાર સામાન 18 દિવસમાં પહોંચે છે. જોકે બંદર પર જહાજ આવે એટલે પછી તેને ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે.
દવાઓના ભાવ વધવાની શકયતા નથી
આ સિવાય વિમાનમાંથી પણ સામાન આવવાનો શરૂ થઈ ગયો છે. વિમાનમાં વધુ વેલ્યુવાળો સામાન આવે છે. કંપનીઓની પાસે હાલ દવા બનાવવા માટે ઓછામાં ઓછા ત્રણથી ચાર મહિના ચાલે એટલો કાચો માલ છે. તમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ્સ ઈનગ્રીડિઅન્ટ્સ(એપીઆઈ) અને ફોર્મ્યુલેશન બંને છે. જ્યારે ઈન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ(આઈપીએ)ના જનરલ સેક્રેટરી મહાસુદર્શન જૈનનું કહેવું છે કે કોરોનાના કારણે દેશમાં દવાઓના ભાવ વધવાની શકયતા નથી. સરકાર પોતે તેને કન્ટ્રોલ કરે છે. દવા બનાવવાના કાચા માલની કિંમત ભલે જેટલી પણ વધે, દર વર્ષે ન્યુનતમ ટકાવારી મુજબ જ ભાવ વધારવાની પરવાનગી મળે છે.
આ દવાઓનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે
આઈડીએમએ અનુસાર, લોકોએ હાઈડ્રોક્સી-ક્લોરોક્વિન દવા ખરીદીને રાખવાની શરૂઆત કરી દીધી હતી. તેના કારણે દવાની અછત અનુભવાઈ હતી. જોકે હવે કંપનીઓ તેને બનાવી રહી છે. દવાઓ બનાવવાનો કાચો માલ જરૂર મોંઘો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે આપણી એન્ટીબાયોટિક પૈકીની 90 ટકા ચીનમાંથી આવે છે. બાદમાં પેરાસિટામોલનો નંબર આવે છે.