વાગરા તાલુકાના વિલાયત-દેરોલ માર્ગની જર્જરિત હાલતને કારણે વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લાંબા સમયથી આ માર્ગ પર મૃત્યુના કૂવા સમાન મોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયેલું છે. વળી, માર્ગના સમારકામની આવડત વગરના કામને લીધે કે વાહનોની અવરજવર વધતાં જ માર્ગ પર ધૂળની ગાઢ ડમરીઓનું વાવાઝોડું સર્જાય છે.

ધૂળના આ ગાઢ વાદળોને કારણે દૃશ્યતાનો અભાવ રહે છે, જેનાથી અકસ્માતનું જોખમ સતત વધતું જાય છે. વાહનચાલકો ખાડાથી બચવા વારંવાર માર્ગ પર આડુંઅવળું વાહન હંકારે છે, જે ધૂળ ઉડાવવામાં વધારો કરે છે. આસપાસના ગ્રામજનો અને નોકરિયાત વર્ગને સતત ધૂળ શ્વાસમાં જવાથી શ્વાસ અને ફેફસાં સંબંધિત બીમારીઓનો ભય સતાવી રહ્યો છે.
સ્થાનિકોનો તંત્ર સામે ઉગ્ર રોષ છે કે, માર્ગની સમારકામ કે યોગ્ય જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવાતા નથી. નાગરિકોની ઉગ્ર માંગ છે કે, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપી તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ કરે, જેથી પ્રજાને સુરક્ષા અને આરોગ્યની રાહત મળી શકે.

