15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી હતી પરંતુ બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરવા માટે ઘણા લોકોએ પોતાનો અમુલ્ય ફાળો આપ્યો. આઝાદી પાછળ ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તમામ લડવૈયાઓમાંથી એકને રાષ્ટ્રપિતા’નો દરજ્જો મળ્યો છે. જાણો કોનો અને કેવી રીતે સૌથી પહેલા રાષ્ટ્રપિતાનો દરજ્જો મળ્યો.
મહાત્મા ગાંધી ભારતીય રાજકારણમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિત્વ બની ગયા હતા. કારણ કે તેમણે અહિંસક વિચારોથી સમગ્ર વિશ્વની વિચારસરણી બદલી નાખી હતી. ગાંધીજીએ સ્વતંત્રતા અને શાંતિ માટે શરૂ કરેલી પહેલોએ ભારત અને સાઉથ આફ્રિકામાં અનેક ઐતિહાસિક ચળવળોને નવી દિશા આપી હતી. તેમનો પ્રથમ સત્યાગ્રહ 1917માં બિહારના ચંપારણ જિલ્લામાંથી શરૂ થયો હતો.
જવાહર લાલ કહ્યું-રાષ્ટ્રપિતા હવે નથી
દેશના પ્રથમ વડા પ્રધાન જવાહર લાલ નેહરુએ મહાત્મા ગાંધીને સૌપ્રથમવાર રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા. ગાંધીજીના મૃત્યુ બાદ ભારતના તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપિતા હવે નથી’. પરંતુ તેમના પહેલા કોંગ્રેસના અન્ય એક નેતાએ મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા. જેમનું નામ સુભાષચંદ્ર બોઝ છે. રસપ્રદ વાત એ છે કે, નેતાજી બોઝના કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું મુખ્ય કારણ પરોક્ષ રીતે મહાત્મા ગાંધી હતા.
ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કોણે આપ્યું?
સુભાષ બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, ‘સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.’ અંગ્રેજોના ચુંગાલમાંથી છટકીને સુભાષચંદ્ર બોઝ જુલાઈ 1943માં જર્મનીથી જાપાનના નિયંત્રણ હેઠળના સિંગાપોર પહોંચ્યા હતા.
સુભાષબાબું અને ગાંધીજી વચ્ચે મતભેદ હોવા છતાં રાષ્ટ્રપિતા કહ્યા
4 જૂન 1944ના રોજ સુભાષ ચંદ્ર બોઝે સિંગાપોર રેડિયો પરથી એક સંદેશ પ્રસારિત કર્યો અને મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા હતા. સુભાષ બોઝે કહ્યું હતું કે, ‘ભારતની આઝાદીની છેલ્લી લડાઈ શરૂ થઈ ગઈ છે. જ્યાં સુધી અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવામાં ન આવે ત્યાં સુધી આ સશસ્ત્ર સંઘર્ષ ચાલુ રહેશે.’ થોડીવાર રોકાઈને તેમણે કહ્યું, ‘રાષ્ટ્રપિતા, અમે ભારતની આઝાદીની લડાઈમાં તમારા આશીર્વાદ માંગીએ છીએ.’ વિમાન દુર્ઘટનામાં સુભાષ બોઝના મૃત્યુના સમાચાર પર ગાંધીજીએ કહ્યું હતું કે, ‘તેમના જેવો દેશભક્ત બીજો કોઈ નથી, તેઓ દેશના રાજકુમાર હતા.


