જામનગર ધ્રોલમાં રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. જામનગરના ધ્રોલમાં આરસીસી રોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે પાલિકામાં રજૂઆત થતાં ખળભળાટ મચી ગયો છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે પડધરી નાકા પાસે બનાવેલા રોડમાં ભ્રષ્ટાચાર થયો છે અને રોડ બનાવાના કામમાં નબળી ગુણવત્તાની સામગ્રી વપરાઇ છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ટેન્ડરના નિયમો નેવે મુકીને આરસીસી રોડ બનાવાયો છે. અરજદાર રાજેશ પરમારે નગર પાલિકામાં ફરી એક વાર રજૂઆત કરી છે. અગાઉ રજૂઆત છતા ધ્યાને ન લેવાયુ હોવાનો આક્ષેપ કરાયો છે. રોડની ચકાસણી કરવા અરજદાર દ્વારા રજૂઆત કરાઇ છે.
પડધરીના નાકા બહાર બની રહેલ રોડમાં ભ્રષ્ટાચાર
જામનગરના ધ્રોલ શહેરમાં ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ થયો છે. ધ્રોલમાં પડધરીના નાકા બહાર બની રહેલ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો અરજદારનો દાવો છે રાજેશભાઈ પરમાર નામના અરજદારે ધ્રોલ નગર પાલિકાને આ મામલે રજૂઆત કરી છે પણ હજું પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી.
નિયમ નેવે મૂકીને કોન્ટ્રાક્ટરે સીસી રોડ બનાવી દીધો
અરજદારે જે આરોપ લગાવ્યો છે તે મુજબ ટેન્ડરમાં નક્કી થયેલ નિયમ નેવે મૂકીને કોન્ટ્રાક્ટરે સીસી રોડ બનાવી દીધો છે. તેમણે એમ પણ કહ્યું કે નગરપાલિકા તંત્રને અરજદારે અગાઉ બે વખત લેખિત જાણ કરી છે છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઇ રહ્યા છે.
હલકી ગુણવત્તાનું મટીરિયલ
તેમણે આરસીસી સીસી રોડના હાલ ચાલી રહેલ કામમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોવાનો આક્ષેપ કર્યો છે તો સાથે સાથે રોડની ચકાસણી કરી તપાસ કરાવવા સ્થાનિકોએ પણ માંગ કરી છે.
જવાબદારો સામે કડક પગલાં લેવા જરુરી
રોડ બનાવવાના કામોમાં કોન્ટ્રાક્ટરો હલકી કક્ષાનું મટિરીયલ વાપરીને ગુણવત્તા વગરનો રોડ બનાવે છે જેનાથી થોડા જ સમયમાં રોડ બિસ્માર થઇ જાય છે અને પાલિકાને લાખો રુપિયાનું નુકશાન થાય છે. પાલિકાએ આ માટે જવાબદારો સામે કડક પગલાં લેવા જરુરી છે.


