ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલા મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવાની દરગાહ શરીફનો વાર્ષિક ઉર્ષ તાજેતરમાં ભવ્ય રીતે ઉજવાયો હતો. આ પ્રસંગે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી, જેમાં સર્વધર્મ સમભાવની ભાવના સાથે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
નબીપુરના દાવલશા સ્ટ્રીટથી શરુ થયેલી સંદલ યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રા દરગાહના આસ્તાના પર પહોંચીને સંદલની રસમ પૂર્ણ કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં નબીપુર જુમ્મા મસ્જિદના પેશઇમામ, નાયબ પેશઇમામ, પાટણવાળા બાવા, અને શિનોરના ગાડીનાશીન શમશાદબાવા સહિત અનેક અગ્રણીઓ અને વિવિધ ધર્મના લોકોએ હાજરી આપી હતી.
સંદલ શરીફની રસમ પછી, દરગાહના પટાંગણમાં મહેફીલે શમાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભજન અને કવ્વાલીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ઉજવણીએ સમાજમાં ધાર્મિક સૌહાર્દ અને એકતાનો સંદેશો ફેલાવ્યો હતો.


