ગુજરાતમાં ૩૧ ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા શરૂ કરાયેલ ૧૧૨ જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લામાં ગતરોજ ૩૦ અત્યાધુનિક ગાડીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ લીલી ઝંડી આપીને આ ગાડીઓનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે એ.એસ.પી. અજયકુમાર મીણા અને ડી.વાય.એસ.પી. સી.કે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી સેવાઓથી ભરૂચ જિલ્લાના નાગરિકોને હવે એક જ નંબર પર ૬ મહત્વપૂર્ણ ઇમરજન્સી સેવાઓ મળશે, જેમાં પોલીસ (૧૦૦), એમ્બ્યુલન્સ (૧૦૮), ફાયર (૧૦૧), મહિલા હેલ્પલાઇન (૧૮૧), ચાઇલ્ડ હેલ્પલાઇન (૧૦૯૮) અને ડિઝાસ્ટર હેલ્પલાઇન (૧૦૭૦/૧૦૭૭)નો સમાવેશ થાય છે.
જિલ્લા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, “આ ૩૦ હાઇટેક જનરક્ષક ગાડીઓમાં જી.પી.એસ. ટ્રેકિંગ સિસ્ટમ, મોબાઈલ ડેટા ટર્મિનલ્સ, વાયરલેસ સેટ અને બોડી વોર્ન કેમેરા જેવી આધુનિક સુવિધાઓ છે, જે કટોકટીની સ્થિતિમાં પોલીસને ઝડપથી ઘટનાસ્થળે પહોંચવામાં મદદ કરશે અને કામગીરીમાં પારદર્શિતા વધારશે.”
આ નવી સુવિધાઓ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ કાર્યક્ષમતા લાવશે.


