આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૨ અને ૫ના રહીશો પાણી જેવી પાયાની સુવિધાથી વંચિત રહેતા સત્તાધીશો સામે ભારે રોષે ભરાયા છે. નગરજનોનો આક્ષેપ છે કે નગરપાલિકા પાણીનો પુરવઠો પૂરો પાડવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે લોકોને પાણી વેચાતું લેવાની ફરજ પડી રહી છે.

રહીશોએ જણાવ્યું કે, પાણીના પ્રશ્ને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે આક્ષેપ કર્યો કે અધિકારીઓ અને પદાધિકારીઓ પોતાની આરામખુરશી છોડીને સ્થળની મુલાકાત પણ લેતા નથી. આ બેદરકારીના કારણે ભાજપના મતદારોમાં પણ નારાજગી જોવા મળી રહી છે, જેઓ ચૂંટણી સમયે અપાયેલા વચનો અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.
પાણીની અછતથી ત્રસ્ત રહીશોએ હવે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સોમવાર સુધી પૂરતા પ્રેશરથી પાણી નહીં મળે તો નગરપાલિકાના દરવાજા પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

