આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જીતગઢથી જુનારાજના રોડનું કામ શરૂ કરાવવા માટે વહેલી સવારથી જુનારાજ ગામથી પદયાત્રા શરૂ કરી હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ગામ જુનારાજમાં આઝાદીના 78 વર્ષ બાદ પણ રોડ ન બનતા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ જુનારાજ ગામથી પદયાત્રા યોજી હતી. ચૈતર વસાવાએ ઐતિહાસિક પૌરાણીક, પર્યટક ગામ જુનારાજ, ઉપલા જુનારાજ, વેરિસાલ, પાંચખાડી, કમોંદીયા,દેવહાત્રા જવા રોડ બનાવવા માટે પદયાત્રા શરૂ કરી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા. પદયાત્રા કર્યા બાદ ચૈતર વસાવાએ નર્મદાના નાયબ વન સંરક્ષકને આવેદનપત્ર આપ્યું હતું.

તાત્કાલિક અસરથી જીતગઢથી જુનારાજના ડામર રોડની કામગીરી ચાલુ કરાવામાં આવે એવી અમારી માંગણી છે. જો 15 દિવસમાં આ કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો અસર કરતાં તમામ ગામના લોકો ભેગા મળી તા.31/10/2025ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને રજુઆત કરવા કેવડીયા પહોંચવાની ચીમકી આપી હતી.

ચૈતર વસાવાએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, અહીં વર્ષોથી જીતગઢથી જુનારાજને જોડતો રસ્તો છે. આજ રસ્તે, નીચલું જુનારાજ, ઉપલુ જુનારાજ, વેરીસાલ, પાંચખાડી, કોમદીયા જેવા પરા-ગામ પણ આવેલા છે. જે રસ્તે 14 કિ.મી. ડામર રોડ મંજૂર થયેલ છે. ડી.બી.પટેલ- મેમર્સ દ્વારા તા.12/03/2024 ના રોજથી સ્ટ્રક્ચરની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ વન વિભાગ, કેવડીયા અને નર્મદાના નાયબ વન સંરક્ષક દ્વારા વાહનોને જપ્ત કરી કામગીરીને અટકાવી દીધી હતી અને જણાવ્યું હતું કે, “ફોરેસ્ટ NOC- પરવાનગી નથી મળી”.
REPORTER : દીપક જગતાપ, રાજપીપલા

