ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા ઉત્તર ભારતીય પરિવારો દ્વારા દિનકર સેવા સમિતિના નેજા હેઠળ ઝાડેશ્વર ખાતેના નર્મદા પાર્ક ઓવારા ખાતે છઠ્ઠ પૂજા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદા તટ પર એકઠા થઈને ડૂબતા સૂર્યદેવને આસ્થાપૂર્વક અર્ધ્ય અર્પણ કર્યું હતું. છઠ્ઠી માતાની પૂજા દરમિયાન માતાઓએ સંતાનોના દીર્ઘ આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ માટે ૩૬ કલાકનું કઠિન નિર્જળા વ્રત રાખ્યું હતું.
આ ધાર્મિક પ્રસંગે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને દિનકર સેવા સમિતિના પ્રમુખ ડૉ. જીતેન્દ્ર રાજપૂત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગતરોજ સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપીને આ ચાર દિવસીય પર્વનું સમાપન કરવામાં આવ્યું હતું. પૂજા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા.
