ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી.ઈ.એસ. યુનિયન દ્વારા મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે બે દિવસીય ભવ્ય ‘જ્ઞાન ગંગોત્રી’ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણની સાથે સ્વાસ્થ્ય અને સંસ્કારને જોડતા આ મહોત્સવમાં વિદ્યાર્થીઓએ પોતાની મૌલિક કૃતિઓ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા.

મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ૧૧૪ વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી અંદાજે ૫૦ જેટલી વિવિધલક્ષી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, જ્ઞાનના પ્રસાર માટે પુસ્તક મેળો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ આકર્ષણ જમાવ્યું હતું. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રોટરી ક્લબના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ દુષ્યંત પટેલ સહિત પૂર્વ આચાર્ય વાસંતી દીવાન, સનત રાણા, પૂર્વ વિદ્યાર્થી નરેશ ઠક્કર અને આચાર્ય વિજયસિંહ સિંધા તથા ધવલ ભટ્ટે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના કૌશલ્યને બિરદાવ્યું હતું. મોટી સંખ્યામાં પૂર્વ શિક્ષકો અને શુભેચ્છકોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમની સફળતાએ ભરૂચના શૈક્ષણિક જગતમાં નવું સોપાન સર કર્યું છે.
