CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ બનાવવા મામલે વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે, બેંગલુરુની નેશનલ લો સ્કૂલ ઑફ ઇન્ડિયા યુનિવર્સિટીએ 12 સપ્ટેમ્બરના રોજ યોજાનાર પોતાનો 34મો દીક્ષાંત સમારોહ રદ કરી દીધો છે.
યુનિવર્સિટીએ 27 ઑગસ્ટના રોજ આ માહિતી આપી. નોટિસમાં વિદ્યાર્થીઓના વિરોધનો ઉલ્લેખ નથી. યુનિવર્સિટીએ કહ્યું છે કે સમારોહ રદ થવા છતાં વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી/સર્ટિફિકેટ કુરિયર દ્વારા મંગાવી શકે છે અથવા યુનિવર્સિટી પરિસરમાંથી મેળવી શકે છે.
700થી વધુ વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો
NLSIUના 700થી વધુ વર્તમાન વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ CJI સૂર્યકાંત અને બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI)ના ચેરમેન મનન કુમાર મિશ્રાને દીક્ષાંત સમારોહમાં આમંત્રિત કરવા પર વાંધો ઉઠાવ્યો હતો.વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જારી કરાયેલા નિવેદન પર 700થી વધુ લોકોની સહી હતી. તેમાં 165 વર્તમાન સ્નાતક વિદ્યાર્થીઓ, 409 વર્તમાન વિદ્યાર્થીઓ અને 128 પૂર્વ વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. તેમણે BCIને NALSARના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની બિનશરતી માફી માંગવાની માગ પણ કરી હતી.

મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટે ચીફ ગેસ્ટ બદલ્યા
મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ (TISS) એ પણ 86મો દીક્ષાંત સમારોહ મુલતવી રાખ્યો. પહેલાં તે 2 ઓગસ્ટે યોજાવાનો હતો, પરંતુ હવે તે 22 ઓગસ્ટે યોજાશે. સંસ્થાએ પહેલાં CJI સૂર્યકાંતને ચીફ ગેસ્ટ બનાવ્યા હતા, પરંતુ હવે તેમની જગ્યાએ ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સીએસ પ્રામેશને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા છે. સંસ્થાએ આ પાછળ “અણધારી પરિસ્થિતિઓ” નો હવાલો આપ્યો. સંસ્થાને વિદ્યાર્થીઓના સંભવિત વિરોધની ચિંતા હતી.
હૈદરાબાદની નાલસાર યુનિવર્સિટીમાં પણ વિરોધ થયો હતો
હૈદરાબાદની નાલસાર યુનિવર્સિટી ઓફ લોમાં પણ CJI જસ્ટિસ સૂર્યકાંતને દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના વિરોધથી નારાજ થઈને BCIએ 2026 બેચના તમામ પાસ-આઉટ વિદ્યાર્થીઓના સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલમેન્ટ પર રોક લગાવી દીધી હતી. જોકે, 85 મિનિટની અંદર જ આ નિર્ણય પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ દિલ્હીમાં થયેલા વિરોધ પ્રદર્શનો સંબંધિત CJI ની ટિપ્પણીઓ અને કાર્યવાહીથી નારાજ હતા.

