માતા શક્તિના હૃદય સ્થાન સમાં યાત્રાધામ અંબાજી ખાતે સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળાનો રવિવારે (સાતમી સપ્ટેમ્બર) અંતિમ દિવસ છે. અત્યાર સુધીમાં 36 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શનનો લાભ લીધો. આ ઉપરાંત ચંદ્રગ્રહણને કારણે મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો હતો. વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જામી, પરંતુ ગ્રહણને લીધે સવારે 10થી 12 વાગ્યા સુધી મંદિર બંધ રહ્યું. બપોરે 12થી 12:30 દરમિયાન માતાજીની શયન આરતી થઈ, અને 12:30થી સાંજે 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શનની પરવાનગી આપવામાં આવી હતી.
બીજી તરફ ગ્રહણના કારણે 12:30 પછી મંદિરના શિખરે ધજા પણ ચઢાવવામાં ન આવી. સાંજે 5 વાગ્યા પછી મંદિર દર્શન માટે બંધ કરવામાં આવશે.
અંબાજી ધામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ઉઠ્યું
ગુજરાતના એક માત્ર સુવર્ણ મંદિર ધરાવતા આરાસુર ધામમાં મા અંબાના જગ વિખ્યાત ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે યોજાઈ રહ્યો છે. મા શક્તિની ભક્તિના અનેરા સંગમમાં માતાજીના દર્શન અને આશીવાદ મેળવવા ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી લાખો માઇ ભક્તો કઠીન પદયાત્રા કરીને અનંત ચૌદેશના રોજમાં અંબાના ધામ આરાસુરમાં ઉમટી પડ્યાં હતા .જેને લઈ ભાદરવી પૂનમના પરંપરાગત મહામેળાના છઠ્ઠા દિવસે અંબાજી ધામ શ્રદ્ધાળુઓથી છલકાઈ ઉઠ્યું હતું. સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી પહોંચેલા માઈભક્તોએ અદમ્ય ઉત્સાહ સાથે માતાજીના કરી અનુભવી હતી.
માઈ ભક્તોએ દંડવત પ્રણામ કરી માતાજીના ગર્ભગૃહમાં જય અંબેના નાદ સાથે પોતાની માનતા આખડીઓ પૂર્ણ કરી હતી. અનેક સંઘો, માંડવી ઓના માઈ ભક્તો દ્રારા માતાજીને નવરાત્રિમાં પોતાની માંડવીઓ પર પધારવા માટેનું માંને હાર્દિક આમંત્રણ આપ્યું હતું. એક પદયાત્રીએ જણાવ્યું હતું કે, ‘યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરમાં પ્રવેશ કરતાની સાથે જ એક અલગ જ પ્રકારની શક્તિનો સંચાર થાય છે.’
મેળાના છઠ્ઠા દિવસે 8 લાખ વધુ ભક્તોએ માતાના દર્શન કર્યાં
યાત્રાધામ તરફ જતાં માગીમાં સર્વત્ર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં ભક્તોને ભોજન, નાસ્તો, ચા, સ્વચ્છ પીવાનું પાણી, આરોગ્ય સેવાઓથી માંડીને આરામ તથા મસાજ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજીમાં મહામેળાના છઠ્ઠા દિવસે 8.15 લાખ માઈ ભક્તો ઊમટ્યાં હતા. જ્યારે મેળાના કુલ છ દિવસ દરમિયાન 36.16 લાખ ભક્તોએ જગત જનની મા અંબાના ચરણોમાં શિશ ટેકવ્યું હતું.


