અમદાવાદના કૃષ્ણનગરના સરદાર ચોક નજીક શનિવારે (27મી સપ્ટેમ્બર) ભયંકર અકસ્માત સર્જાયો હતો. એક કારના ચાલકે પૂરપાટ ઝડપે સાઈકલચાલકને જોરદાર ટક્કર કરી હતી. જેમાં કારની ટક્કરે સાઇકલ પર સવાર આધેડ હવામાં ફંગોળાઈને જમીન પર દૂર સુધી ઢસડાયો હતો. આ ઘટનામાં આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, શહેરના કૃષ્ણનગરના સરદાર ચોક પાસેથી એક સાઈકલચાલક પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે સાઇકલ પર સવાર આધેડ લગભગ 10 ફૂટ જેટલો હવામાં ઉછળીને 20 ફૂટ દૂર જઈને પટકાયા હતા. આ ઘટનાને લઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત સાઇકલચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનાને સઈને જી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત સાઇકલચાલકનું નિવેદન નોંધ્યું હતું. જોકે, ઈજાગ્રસ્ત સાઇકલચાલક અને કારચાલક વચ્ચે આર્થિક બાબતો સહિતની અન્ય બાબતે સમાધાન થઈ જતાં, પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.

