અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ત્રણ દિવસ તમામને માટે બસમા મફત મુસાફરીની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાતને સાનૂકુળ પ્રતિભાવ મળ્યો છે.ત્રણ દિવસમાં દસ લાખથી પણ વધુ મુસાફરોએ બસમા મફત મુસાફરીનો લાભ લીધો હતો. દિવાળીની રાત સુધીમા બસમા મફત મુસાફરી કરનારા લોકોની સંખ્યા હજુ પણ વધી શકે છે.

સામાન્ય રીતે છેલ્લા કેટલાક વર્ષોથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા દર વર્ષે રક્ષાબંધનના પર્વે જ બહેનો માટે દિવસ દરમિયાન બસમા મફત મુસાફરીનુ આયોજન કરવામા આવતુ હોય છે.પહેલી વખત ધનતેરસ,કાળી ચૌદશ અને દિવાળી એમ ત્રણ દિવસ સુધી તમામ લોકો બસમા મફત મુસાફરી કરી શકશે એ પ્રકારની જાહેરાત કરવામા આવી હતી.કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ કહયુ,વર્ષના સૌથી મોટા એવા દિવાળી પર્વ દરમિયાન લોકો તેમના ઘરેથી બજારમા ખરીદી કરવા સરળતાથી જઈ શકે એ માટે કરવામા આવેલા આ પ્રયોગમા દસ લાખથી પણ વધુ મુસાફરોએ લાભ લીધો છે. શહેરમા સરેરાશ રોજના ત્રણ લાખથી પણ વધુ લોકો એ.એમ.ટી.એસ.બસની મફત મુસાફરીનો લાભ લઈ રહયા છે.સામાન્ય દિવસોમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોમા રોજ સરેરાશ ૫.૫૦ લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે.
