અમદાવાદ વર્ષ-૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સનુ યજમાન શહેર છે.એક તરફ આવનારા ચાર વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ પહેલા બે હજાર કરોડથી પણ વધુની રકમના ખર્ચથી માળખાગત સુવિધાઓ વિકસાવાના આયોજન તંત્ર કરે છે.પરંતુ નબળી ડ્રેનેજ લાઈન જેવી માળખાગત સુવિધાના કારણે પાંચ વર્ષમાં વિવિધ વિસ્તારમાં ૪૧૦થી વધુ નાના-મોટા ભુવા રીપેર કરવા રુપિયા ૨૬ કરોડથી પણ વધુની રકમનું આંધણ કોર્પોરેશને કર્યુ છે.ટેકનોસેવી બન્યાની ગુલબાંગ છતાં હાટકેશ્વરમાં પડેલા ભુવાના સમારકામ પાછળ રુપિયા ૫૭ લાખનો ખર્ચ કરવો પડયો હતો.

શહેરમાં છેલ્લા પંદરથી પણ વધુ વર્ષથી ભાજપ દ્વારા કે પછી મ્યુનિસિપલ કમિશનર દ્વારા દર વર્ષે રજુ કરવામા આવતા ડ્રાફટ અંદાજપત્રમાં પચાસથી પણ વધુ વર્ષથી આવેલી પાણી અને ડ્રેનેજની લાઈનો બદલી નવી લાઈન નાંખવા કરોડો રુપિયાના આયોજનની જાહેરાત થતી આવી છે. પરંતુ આ પ્રકારે કરવામા આવતી જાહેરાતોનો એક પણ ઝોનમાં પુરો અમલ કરી શકવામા કોર્પોરેશનનુ ઈજનેર અને ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ સફળ થઈ શકયુ નથી.તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસને કોટ વિસ્તાર સહિતના મધ્યઝોનના છ વોર્ડમાં વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈનો બદલવા રુપિયા ૩૦૦ કરોડથી વધુની રકમના પેકેજની જાહેરાત કરી હતી.ત્રણ વર્ષ પછી મધ્યઝોનમાં પાણી અને ડ્રેનેજની વર્ષો જુની કયાં અને કેટલી લાઈન બદલી નવી નાંખવામા આવી તેની કોઈ ચોકકસ વિગતનો અભાવ છે.દરિયાપુરના કોર્પોરેટર નીરવ બક્ષીએ શહેરના ૪૮ વોર્ડમાં પડેલા ભુવા અને તેના સમારકામ પાછળ થયેલ ખર્ચની વિગત માંગી હતી. મધ્યઝોન દ્વારા વિગત ઉપર ઢાંકપિછોડો કરાયો છે.જયારે દક્ષિણ-પશ્ચિમ ઝોન દ્વારા ભુવાની માત્ર સંખ્યા આપીને તેના સમારકામ પાછળ કરાયેલ ખર્ચની વિગત આપવાનુ જ ટાળી દેવામા આવ્યુ છે.

