અમદાવાદ શહેરમાં સતત વધતા જતા વાહનોના ભાર અને ટ્રાફિકની જટિલ સમસ્યાને હલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રેલવે વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદના દક્ષિણી, પુનિતનગર અને વિંઝોલ ક્રોસિંગ પર નવા ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવી શકે છે. હાલમાં આ અંગે કોઈ ફાઈનલ નિર્ણય લેવાયો નથી પરંતુ ટ્રાફિકની વધતી જતી સમસ્યાને નિવારવા માટે સરવેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે બાદ ફેબ્રુઆરી બજેટમાં આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવી શકે છે.

મણિનગર રેલવે ફાટકથી મળશે મુક્તિ
ઓવરબ્રિજનું નિર્માણ થતાં લાંબા સમયથી મણિનગર રેલવે ફાટક પર પરેશાન થતા શહેરીજનોને કાયમી છુટકારો મળશે. ખાસ કરીને દર 10 મિનિટે રેલવે ફાટક બંધ થવાને કારણે વાહનોની લાંબી કતારો લાગતી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, જેમાંથી રાહત મળી શકશે.
આ વિસ્તારો વચ્ચેની અવરજવર બનશે ઝડપી
નવા ઓવરબ્રિજ તૈયાર થવાથી શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. તેનાથી ઘોડાસર, ઈસનપુર, વટવા અને મણિનગર સહિતના વિસ્તારોને સીધો ફાયદો થશે. આ વિસ્તારો વચ્ચેનો મુસાફરી માત્ર સરળ જ નહીં પરંતુ સમયની બચત કરનારી પણ બનશે.
