અમદાવાદના કાપડના માર્કેટ રેવડી બજારમાાં ૬૮ ગેરકાયદેસર દુકાનદારોએ કાયદેસરના ૪૫૫ દુકાનના કબજેદારોની જગ્યા પર તરાપ મારી હોવાથી તેમને માર્કેટમાંથી દૂર કરીને જ નવા મકાનને ડેવલપ કરવાની માગણી કરી હોવાથી ૪૫૫ કાયદેસર અને ૬૮ ગેરકાયદેસર દુકાનો ધરાવતા કબજેદારો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આ અંગે ચર્ચા કરવા માટે રવિવાર સાતમી ડિસેમ્બરે ૨૦૨૫ના એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં કાયદેસર અને ગેરકાયદેસરના કબજેદારો વચ્ચે તડાફડી થવાની સંભાવના છે. કારણ કે આજે રેવડી બજારમાં જ અલગ અલગ જૂથોની બેઠક થઈ હતી. આવતીકાલને બેઠકમાં કેવો વ્યૂહ અપનાવવો તે અંગે ચર્ચા થઈ હતી.

અમ્યુકોના કરપ્ટ અધિકારીઓએ ગેરકાયદેસર કબજેદારોને રૃા. ૭૫ લાખમાં ૪૫૫ કબજેદારોની જગ્યામાંથી ૧૦૦૦ ચોરસ મીટરનો પ્લોટ ફાળવી દીધી હોવાથી આ રામાયણ ઊભી થઈ રહી છે. ગેરકાયદેસર કબજેદારોને જગ્યા આપી દેવામાં આવી હોવાથી હવે નવા ડેવલપ થનારા માર્કેટમાં નીચેના પ્લોટના ગેરકાયદે કબજેદારો નીચે જગ્યા મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે. તેની સામે કાયદેસરના કબજેદારો તેમને પણ ગ્રાઉન્ડ ફ્લોર પર જ જગ્યા મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે કાયદેસરના કબજેદાર હોવાને નાતે નીચેની ઓફિસો તેમને ફાળવવી જોઈએ.કાયદેસરના કબજેદારોનું કહેવું છે કે ગેરકાયદેસરના કબજેદારોને ૯૦ દિવસનો બ્રિથિંગ પિરિયડ આપીને તેમને દૂરકરી દેવાનો હાઈકોર્ટનો ચૂકાદો હોવા છતાંય અમ્યુકાનો આધિકારીઓએ તેમને દૂર કરવાના પગલાં લીધા નથી. આ દલીલો સાથે કાયદેસરના કબજેદારો આવતીકાલની બેઠકમાં તેમનો મત મૂકવાના છે. રેવડી બજારના જનરલ સેક્રેટરીએ મહિના પૂર્વે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમ્યુકોના નીતિ નિયમ અનુસાર સ્વખર્ચે મંજૂરી કે પરવાનગીઓ મેળવીને બાંધકામ કરવાનું રહેશે. ૪૬૦ કબજેદારનું લિસ્ટ પણ તૈયાર કરવાનું જણાવવામાં આવ્યું છે. આ સ્થિતિમાં ૪૬૦ ઉપરાંતના ૬૮ કબજેદારોનું શું થશે તે એક સવાલ છે. તેમના નામનો યાદીમાં સમાવેશ કરવામાં આવશે તે મુદ્દે જ ચડસાચડસી થવાની સંભાવના છે. ગેરકાયદેસરના કબજેદારો પોતાની તાકાત લગાવી રહ્યા હોવાથી સંઘર્ષ વધી રહ્યો છે.
