અમદાવાદમાં સાબરમતી ખાતે આવેલી સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આજે વહેલી સવારે એક કેદીએ જેની લગભગ 9 દિવસ અગાઉ જ ધરપકડ કરીને અહીં લાવવામાં આવ્યો હતો તેણે જેલના બાથરૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.

8 જાન્યુઆરીએ વિરમગામ પોલીસે કરી હતી ધરપકડ
માહિતી અનુસાર આ કેદીની ધરપકડ વિરમગામ પોલીસે 8 જાન્યુઆરીએ કરી હતી. જોકે જેલમાં 9 દિવસ થયાને જ તેણે આ ચોંકાવનારું પગલું ભરતાં જેલમાં હડકંપ મચી ગયો હતો. કેદીની ઓળખ નિશાન સિંહ તરીકે થઇ છે. તેની વય 31 વર્ષ હતી. મૂળ પંજાબ અને ચોરીના ગુનામાં ઝડપાયેલા નિશાન સિંહે પોતાની પાઘડી ઉતારીને જ એનાથી જ ગળે ફાંસો ખાઈ લીધો હતો. રાણીપ પોલીસે આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આત્મહત્યાનું કારણ અકબંધ!
વિગતો મુજબ નિશાન સિંહ કાચા કામનો કેદી હતો. તેણે આજે વહેલી સવારે જ શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર 4માં બાથરૂમમાં પોતાની જ પાઘડીના કાપડના સહારે આત્મહત્યા કરી લીધી હતી. જ્યાં સુધી પોલીસ અધિકારીઓને જાણ થઇ ત્યાં સુધીમાં તો તે જીવ ગુમાવી ચૂક્યો હતો. ડૉક્ટરોએ તપાસ કરતાં તેને મૃત જાહેર કરી દીધો હતો. વિરમગામ રેલવે પોલીસ સ્ટેશને તેની સામે ચોરીનો ગુનો નોંધાયેલો હતો. ધરપકડ બાદ તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવીને રાખવામાં આવ્યો હતો. જોકે તેણે આપઘાત કેમ કર્યો તેને લઈને રહસ્ય ઘેરાયું છે. કોઈ સ્યુસાઈડ નોટ પણ ઘટનાસ્થળેથી મળી નથી.

