અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં ગત અઠવાડિયે ધોળા દિવસે ફાયરિંગ અને જીવલેણ હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી. ગત 15 ફેબ્રુઆરીના રોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં ચાંદલોડિયાના બાલાજી ચાર રસ્તા પાસે, ‘ઉગતી બંગલોઝ’ સામે આ હિંસક બનાવ બન્યો હતો.

પૂર્વ આયોજિત કાવતરું અને હુમલો
ફરિયાદી પ્રકાશભાઈ દેસાઈ જ્યારે પોતાના એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે પૂર્વ આયોજિત કાવતરું રચીને આરોપીઓએ ફોર-વ્હીલર કાર વડે તેમના એક્ટિવાને ટક્કર મારી નીચે પાડી દીધા હતા. ત્યારબાદ આરોપીઓએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈએ પોતાની પાસે રહેલા દેશી બનાવટના કટ્ટાથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં, હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવી પ્રકાશભાઈના જમણા પગે હથોડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં સહ-આરોપી અંકુરજી ઠાકોર લાકડી વડે અને પિન્ટુકુમાર નાઈ બેઝબોલના બેટ (ધોકા) વડે ક્રૂરતા પુર્વક પ્રહારો કરતા રહ્યા હતા. ભોગ બનનારને રસ્તા પર પાડી દઈને બેરહેમીથી માર માર્યા બાદ, આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
હુમલા પાછળનું કારણ: પ્રેમ સંબંધની અદાવત
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ હુમલા પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધની અદાવત હતી. ફરિયાદી પ્રકાશભાઈ અને આરોપી મોન્ટુ દેસાઈની પિતરાઈ બહેન વચ્ચે સંબંધ હોવાથી બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જોકે, આ મામલે અગાઉ સામાજિક રીતે સમાધાન થઈ ચૂક્યું હતું, તેમ છતાં આરોપીઓએ મનમાં ખાર રાખીને આ જીવલેણ હુમલો કર્યો હતો.
પોલીસ કાર્યવાહી
સોલા પોલીસે બાતમીના આધારે સઘન કાર્યવાહી કરી મુખ્ય આરોપી મોન્ટુ દેસાઈ સહિત ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી છે. પોલીસે ગુનામાં વપરાયેલ દેશી કટ્ટો, અન્ય હથિયારો તથા વાહન કબજે કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

