પશ્ચિમ રેલવે દ્વારા અગાઉ શતાબ્દીમાં તત્કાલ બુકિંગ માટે ઓટીપી સીસ્ટમ અમલમાં મુકાયા બાદ હવે આવતીકાલે 5 ડિસેમ્બરથી રાજધાની, દૂરંતો અને વંદે ભારતમાં પણ આ વ્યવસ્થા લાગું કરવામાં આવશે. અમદાવાદથી દિલ્હી, મુંબઈ, પુણેની ચાર ટ્રેનમાં ઓટીપી વગર તત્કાલ બુકિંગ થઈ શકશે નહીં. પાંચ મહત્ત્વની ટ્રેનમાં આ વ્યવસ્થા સફળ રહેશે તો આગામી દિવસોમાં વધારે ટ્રેનમાં અમલવારી શરૂ કરવામાં આવશે.

ટિકિટ બારી પર પણ આ સિસ્ટમ લાગુ પડશે
રેલવેની ટિકિટ બુકિંગની વ્યવસ્થાના છીંડાનો ગેરલાભ ઉઠાવીને ગેરકાયદેસર એજન્ટો દ્વારા ટિકિટના વ્યાપકપણે કાળાબજાર કરાય છે. ત્યારે તત્કાલ ટિકિટ બુકિંગની પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ સીસ્ટમ અમલમાં મુકવામાં આવી છે. 1 ડિસેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ વચ્ચે દોડતી શતાબ્દી એક્સપ્રેસમાં તેની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં હવે સાબરમતી-નદી દિલ્હી રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-પૂણે દૂરંતો એક્સપ્રેસ, સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ અને હાપા-મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસનો સમાવેશ કરાયો છે.
એટલે કે આ પાંચ ટ્રેનમાં તત્કાલ બુકિંગ માટે ઓટીપી ફરજિયાત રહેશે. રેલવેના રિઝર્વેશન સેન્ટર, એજન્ટ, આઈઆરસીટીસીની વેબસાઈટ અને મોબાઈલ એપ પરથી આ પાંચ ટ્રેનમાં તત્કાલ ટિકિટ બૂક કરતી વખતે મુસાફરના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે. જે દાખલ કર્યા બાદ ટિકિટ કન્ફર્મ થશે.
સાબરમતી-જોધપુર એક્સપ્રેસ બે દિવસ રદ
ઉાર પશ્ચિમ રેલવેના સોમેશ્વર અને જવાલી સ્ટેશન વચ્ચે બ્રિજની કામગીરી માટે બ્લોક લેવામાં આવ્યો છે. પરિણામે 5 અને 6 ડિસેમ્બરના રોજ સાબરમતી-જોધપુર એક્સપ્રેસ તથા તા.5ના રોજ જોધપુર-સાબરમતી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે. જ્યારે બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી તથા હડપસર-જોધપુર ટ્રેન મારવાડ-પાલનપુર રૂટના બદલે પાટણ-ભીલડી રૂટ પરથી ચાલશે. તેમજ સાબરમતી સ્ટેશનથી ઉપડતી જમ્મુતવી અને યોગ એક્સપ્રેસ ટ્રેન સવા બે કલાક સુધી મોડી ઉપડશે.

