રાજ્યમાં વિદાય લેવાના આરે ફરી એકવાર મેઘરાજાએ ધડબડાટી બોલાવતા કારતક મહિનામાં અષાઢી માહોલ છવાયો છે. સતત બીજા દિવસે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 85 જેટલા તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ 2.25 ઈંચ વરસાદ નવસારીના જલાલપોરમાં નોંધાયો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે ગુજરાતના વાતાવરણમાં આવેલા આ પલટાએ જગતના તાતને બેહાલ કર્યા છે.
રવિવારે (26 ઓક્ટોબર) દિવસ દરમિયાન જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો તેમાં નવસારીના જલાલપોર, ખેરગામ, ગણદેવી, ચીખલી, ગીર સોમનાથના સુત્રાપાડા, કોડીનાર, ઉના, છોટા ઉદેપુરના ક્વાંટ, સંખેડા, પંચમહાલના જાંબુઘોડા, તાપીના ડોલવણ, નર્મદાના ડેડિયાપાડા, ગરૂડેશ્વર અને અમરેલીના રાજુલાનો સમાવેશ થાય છે. વેરાવળમાં અઢી ઇંચ અને ઉનામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આ કમોસમી માવઠાને કારણે ખેડૂતોને બેવડી આફતનો સામનો કરવો પડ્યો છે, કારણ કે એક તરફ શિયાળુ પાકની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ કપાસ, મગફળી અને અન્ય પાકોની લણણી ચાલી રહી છે.
વરસાદને કારણે મગફળીના પાથરા ખેતરમાં જ પલળી ગયા, જેના કારણે પાક સડી જવાનો ખતરો ઊભો થયો છે. કપાસ, સોયાબીન, ડાંગર, ચીકુ અને તલ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. ખેતરમાં રાખવામાં આવેલો પશુઓનો સૂકો ઘાસચારો પણ પલળી જતાં નકામો બની ગયો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરના વરસાદથી માંડ બેઠા થયેલા ખેડૂતો લાભ પાંચમના શુભ દિવસોમાં ફરી માવઠાના મારથી આર્થિક રીતે તબાહ થયા છે. નવસારી, ગણદેવી અને બીલીમોરામાં ડાંગર અને ચીકુને ભારે નુકસાન થયું છે, જ્યારે ડાંગ જિલ્લામાં ડાંગર, વરાઈ, નાગલી અને કઠોળનો પાક ભોંયભેગો થયો છે. મધ્ય ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદી માટે આવેલી ડાંગર પલળી ન જાય તે માટે ખેડૂતોએ દોડધામ મચાવી હતી.
દરિયાઈ પટ્ટી પર સંભવિત ખતરો જારી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર સતત બીજા દિવસે નંબર 3 નું ભયસૂચક સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. દરિયામાં ભારે કરંટ અને તોફાની પવનની સંભાવનાને પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા માલસામાનનું વહન કરતી નાની હોડીઓને પ્રસ્થાન ટાળવાની સૂચના આપવામાં આવી છે.
આવતીકાલ માટે ઓરેન્જ અને યલો એલર્ટ
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હજુ આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે.
બે દિવસ ક્યાં વરસાદ માટે એલર્ટ?
27 ઓક્ટોબર : અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, ભરૂચ, સુરત, નવસારી, રાજકોટ, જામનગર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
28 ઓક્ટોબર : ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, દીવમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

