અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે. ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ વાવેતર કર્યું હોવાથી ચિંતામાં વધારો થયો છે. સોરાષ્ટ્રમાં આ સિઝનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદ ખેંચાતા સમગ્ર સૌરાષ્ટ્રના મગફળી, કપાસ, ડુંગળી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે. ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. વાવેતર સમયે સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પરંતુ એક સપ્તાહથી વરસાદ ખેંચાયો છે. જેના કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે સારી આગાહી કરી છે.
17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારુ ગણાશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસુ સિસ્ટમ સક્રિય થશે.17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. આ સિસ્ટમને કારણે વડોદરા, નવસારી, સુરત, આહવા, વલસાડ, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર, મહુવા અને ઊનામાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ઓગસ્ટના અંતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. કેટલાક ભાગમાં નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે છે. 17 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે સારુ ગણાશે. 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી કૃષિ પાક સારું ગણાતું નથી.
રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે. પરંતુ હવે 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસું સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અરબ સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાં સિસ્ટમ પણ સક્રિય થશે અને તારીખ 19થી 22માં દક્ષિણ સોરાસ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હાલમાં વરસાદી ઝાપટા પડશે અને 6થી 12 ઓગસ્ટ સુધીમાં વરસાદી ઝાપટા વધવાની પણ શક્યતાઓ છે. 19થી 22 ઓગસ્ટ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.


