અમરેલી જિલ્લાના સાવરકુંડલા-રંઘોળા સ્ટેટ હાઇવે પર રવિવારે (22મી ફેબ્રુઆરી) એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે કાર વચ્ચે થયેલી સામસામે ધડાકાભેર ટક્કરમાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 9 મુસાફરો લોહીલુહાણ થયા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો.
એક કાર ભાવનગરથી સપ્તાહમાં જઈ રહી હતી, જ્યારે બીજી કાર આદસંગ ગામથી લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. સાવરકુંડલા-રંઘોળા હાઇવે પર આ બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

આ અકસ્માતમાં 28 વર્ષીય કુલદીપ ખુમાણ નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે 9 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 5 મુસાફરોની હાલત અત્યંત નાજુક જણાતા તેઓને વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
સાવરકુંડલા પોલીસ પણ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી અને ટ્રાફિક ક્લિયર કરાવીને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. લગ્નપ્રસંગ અને ધાર્મિક પ્રસંગમાં જઈ રહેલા પરિવારો પર અચાનક આવી પડેલી આ આફતને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
