હાલમાં મોંઘવારીએ માઝા મૂકી દીધી છે અને દરેક ચીજ વસ્તુઓનાં ભાવ દિનપ્રતિદિન એટલી હદે વધી રહ્યાં છે કે, આ મોંઘવારીનું કાળચક્ર ક્યાં જઈને અટકશે એનું અનુમાન કરવું પણ ખતરાથી ખાલી નથી. આ મોંઘવારીનો અંત ક્યારે આવશે એનો કોઈ પણ ધુરંધર વ્યક્તિ પાસે સચોટ ઉપાય અને જવાબ નથી. કારણકે, મોંઘવારી વધવી એ કોઈ એક વ્યક્તિના હાથની વાત નથી કે કોઈ એક કારણ નથી, પરંતુ એમાં જાતજાતના પરિબળો ભાગ ભજવે છે.
આપણાં દેશમાં લોકશાહી પ્રથા અમલમાં છે અને લોકો વડે જ સરકાર ચાલે છે, તેથી આપણાં ખંધા રાજકીય નેતાઓ ચૂંટણી લડવા માટે મોટા મોટા નામાંકિત વેપારીઓ, ઉદ્યોગપતિઓ, અંડરવર્લ્ડના અસામાજિક તત્વો વિગેરે પાસેથી અબજો રૂપિયા લઈ આવે છે અને નસીબજોગે એ રાજકારણી ચૂંટણી જીતી સત્તા પર આવતાં જ નાણાકીય ખાધ સરભર કરવા માટે, ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ તે રાજકીય નેતાનું નાક દબાવીને મ્હોં ખોલાવે છે મતલબ કે ઉદ્યોગપતિઓ રાતોરાત ચીજવસ્તુના ભાવ બમણા કરી નાંખે છે તો ક્યારેક અમુક વસ્તુઓને દબાવી કે સંગ્રહ કરીને વધારે નાણાં કમાવવા માટે કૃત્રિમ અછત ઉભી કરે છે. બીજી તરફ અંડરવર્લ્ડના માફિયાઓ ગમે ત્યાં ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને રાતોરાત મોટુ કોમ્પલેક્ષ બનાવી નાંખે છે. અચાનક દંગા ફસાદ કરાવાય છે. આજે કોઈ પણ ક્ષેત્ર એવું નથી કે એમાં મોંઘવારી વધી ના હોય. બિચારી ભોળી અને નિર્દોષ જનતા ગરીબી અને મોંઘવારીમાં ઘંટીના બે પડ વચ્ચે દાળ પિસાય એમ પિસાતી જાય છે. એમાંય મધ્યમ વર્ગના લોકોને તો ઘણી આબદા, વિપત્તિ અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તમાચો મારીને ગાલ લાલ રાખવો પડે છે. સરકારી કર્મચારીઓનાં પગાર ધોરણો તો વખતોવખત ઉત્તરોત્તર વધતાં જાય છે એથી એમને વધતી જતી મોંઘવારીનો વધારે અહેસાસ થતો નથી. જ્યારે ખાનગી કંપનીઓ, નાના કારખાનાં કે દુકાનોમાં કામ કરતાં કર્મચારીઓ કે કારીગરોના પગાર ધોરણમાં કોઈ ઝાઝો વધારો થતો નથી એથી મોંઘવારી નો ભાર સૌથી વધારે આવાં લોકોએ સહેવો પડે છે. છરી તરબૂચ ઉપર પડે કે તરબૂચ છરી ઉપર પડે કપાવાનુ તો તરબૂચ જ છે, એ ન્યાયે બિચારી જનતાએ તો વગર વાંકે મોંઘવારીના ખપ્પરમાં હોમાવાનું જ છે. આ મોંઘવારી આવનારા ભવિષ્યમાં કેવા કેવા રંગ બદલશે એ તો આવનારો સમય જ બતાવશે.

યોગેશભાઈ આર જોશી

