ARTICLE : “ભીષ્મ પિતામહ” અને ૧૦૦ જન્મ પહેલાનું ” કર્મ”.

0
32
meetarticle

મહાભારતના યુદ્ધના અંતિમ તબક્કે, જ્યારે ભીષ્મ પિતામહ અર્જુનના બાણોથી વીંધાઈને ‘શરશૈયા’ (બાણોની પથારી) પર સૂતા હતા, ત્યારે તેમના મનમાં એક મોટો પ્રશ્ન જાગ્યો. આ પ્રસંગ આપણને શીખવે છે કે કર્મની ગતિ કેટલી સૂક્ષ્મ અને લાંબી હોઈ શકે છે.


ભીષ્મનો પ્રશ્ન અને શ્રીકૃષ્ણનો જવાબ
ભીષ્મ પિતામહ ઈચ્છામૃત્યુનું વરદાન ધરાવતા હતા, તેથી તેઓ બાણોની પથારી પર સૂતા હોવા છતાં જીવિત હતા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ તેમને મળવા આવ્યા, ત્યારે ભીષ્મે પૂછ્યું.
“હે કૃષ્ણ! મેં મારા આ જન્મમાં ક્યારેય કોઈનું અહિત કર્યું નથી, કોઈનું ખરાબ વિચાર્યું નથી. મેં હમેશા ધર્મનું પાલન કર્યું છે. તો પછી મારે આવી પીડાદાયક પથારી પર કેમ સૂવું પડ્યું? મારે આટલા બધા બાણોનો વેદના કેમ સહન કરવી પડી રહી છે?”


શ્રીકૃષ્ણ મંદ સ્મિત સાથે બોલ્યા, “પિતામહ, મનુષ્યને તેના આ જન્મના જ નહીં, પણ પૂર્વજન્મોના કર્મોનું ફળ પણ ભોગવવું પડે છે. તમે તમારા પાછલા ૭૨ જન્મો જોયા, પણ તેની પાછળના જન્મો જોવાનું કદાચ રહી ગયું છે.”૧૦૧માં જન્મનું એ પાપ કૃષ્ણની કૃપાથી ભીષ્મ પિતામહને તેમના ૧૦૧માં પૂર્વજન્મનું દ્રશ્ય દેખાયું. તે સમયે તેઓ એક રાજકુમાર હતા. એકવાર તેઓ શિકાર પરથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે એક ‘કરકંટક’ (કાચંડો) રસ્તાની વચ્ચે આવી ગયો. રાજકુમારે તે કાચંડાને રસ્તા પરથી હટાવવા માટે પોતાના ધનુષની અણીથી તેને હવામાં ઉછાળ્યો. કમનસીબે, તે કાચંડો બાજુમાં આવેલા થોર (કાંટાળા છોડ) પર જઈને પડ્યો. થોરના અણીદાર કાંટા કાચંડાના શરીરમાં આરપાર ખૂંપી ગયા. તે કાચંડો ૧૮ દિવસ સુધી તે કાંટા પર તરફડતો રહ્યો અને અંતે પીડા સહન કરીને મૃત્યુ પામ્યો.


ફળ મળવામાં મોડું કેમ થયું?
ભીષ્મે પૂછ્યું, “પ્રભુ, એ પાપ તો મેં ૧૦૦ જન્મો પહેલા કર્યું હતું, તો તેનું ફળ અત્યારે કેમ મળ્યું?”
શ્રીકૃષ્ણે સમજાવ્યું કે, “ફળ ભોગવવા માટે પુણ્યનું ભાથું ખાલી થવું જરૂરી છે. તમારા પાછલા ૧૦૦ જન્મો એટલા પુણ્યશાળી હતા કે તે પાપનું ફળ ઉદય થઈ શક્યું નહીં. પણ આ જન્મમાં જ્યારે તમે દ્રૌપદીના ચીરહરણ સમયે મૌન રહ્યા અને અધર્મનો સાથ આપ્યો, ત્યારે તમારા પુણ્ય ક્ષીણ થઈ ગયા અને ૧૦૦ જન્મ પહેલાનું એ કર્મ સક્રિય થઈ ગયું.”કર્મ ક્યારેય નાશ પામતું નથી; તે ‘સંચિત કર્મ’ તરીકે જમા રહે છે અને યોગ્ય સમય (પરિપક્વતા) આવ્યે ફળ આપે છે. મૌન પણ પાપ છે ભીષ્મ પોતે અધર્મી નહોતા, પણ અધર્મ થતો જોઈને મૌન રહ્યા, જે તેમના પુણ્યના નાશનું કારણ બન્યું. કુદરતનો ન્યાય મોડો હોઈ શકે છે, પણ તે ચોક્કસ હોય છે. “જેમ હજારો ગાયોની વચ્ચે પણ વાછરડું પોતાની માતાને શોધી લે છે, તેમ કર્મ પણ તેના કરનારને ગમે તેટલા જન્મો પછી પણ શોધી લે છે.””સમય બદલાય છે, યુગ બદલાય છે, પણ કરેલા કર્મોનો હિસાબ ક્યારેય બદલાતો નથી.”

REPORTER : દર્શના પટેલ નેશનલ એથ્લેટ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here