જ્યારે વફાદારીની કિંમત પસ્તાવાથી ચૂકવવી પડે છે
માનવ સંબંધોનો પાયો ‘વિશ્વાસ’ પર ટકેલો હોય છે. પરંતુ આજકાલના સમયમાં કેટલાક લોકો માટે સંબંધ એ લાગણી નહીં, પણ એક ‘રમત’ બની ગયો છે. કોઈનું દિલ તોડવું, વારંવાર દગો દેવો અને સામેવાળી વ્યક્તિની મજબૂરીનો ફાયદો ઉઠાવવો એ અમુક લોકોની આદત બની જતી હોય છે. પરંતુ યાદ રાખજો, કુદરતના ચોપડે દરેક હિંસા અને દરેક આંસુનો હિસાબ થાય છે.
૧. દિલ તોડવું એ ‘દેવું’ કરવા જેવું છે
કહેવાય છે કે કોઈની સંપત્તિ લૂંટી લેવી એના કરતા કોઈનો વિશ્વાસ લૂંટવો એ મોટું પાપ છે. જ્યારે તમે કોઈ વ્યક્તિને દગો આપો છો, ત્યારે તમે તમારા જીવનમાં એક ‘ભાવનાત્મક દેવું’ ઊભું કરો છો. ભલે અત્યારે તમને સજા ન મળે, પણ સમય જતાં આ દેવું વ્યાજ સાથે ચૂકવવું જ પડે છે.
૨. વારંવારની માફી અને સુધારાનો અભાવ
ઘણીવાર દગો આપનાર વ્યક્તિ પકડાઈ ગયા પછી માફી માંગે છે, પણ થોડા સમય પછી ફરી એ જ ભૂલ કરે છે. જ્યારે ભૂલ વારંવાર દોહરાવવામાં આવે, ત્યારે તે ‘ભૂલ’ નથી રહેતી પણ એ વ્યક્તિની ‘પસંદગી’ બની જાય છે. જે વ્યક્તિ તમારી માફીને તમારી કમજોરી સમજી લે છે, તેને તમારી લાગણીની કદર ક્યારેય હોતી નથી. સુધારા વગરની માફી એ માત્ર એક છેતરપિંડી છે, જેનો હેતુ માત્ર તમને રોકી રાખવાનો હોય છે જેથી તે ફરીથી તમારો ઉપયોગ કરી શકે.
૩. કમજોરી પર વાર અને બેશરમીની પરાકાષ્ઠા
સૌથી વધુ પીડાદાયક બાબત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારી નબળાઈઓ જાણતી હોય અને તેનો જ ઉપયોગ તમને દુઃખ આપવા માટે કરે. જે તમારી લાચારી જોઈને ખુશ થાય છે, તે ક્યારેય તમારો ‘પોતાનો’ હોઈ શકે નહીં.
શિકારી માનસિકતા: કેટલાક લોકો ‘સીરીયલ ચીટર’ હોય છે. તેઓ એક વ્યક્તિનો ઉપયોગ કરી, તેની લાગણીઓ સાથે રમીને બીજા ‘શિકાર’ તરફ આગળ વધી જાય છે. આવી વ્યક્તિઓ બેશર્મ બનીને ગમે તેટલા પાત્રો બદલે, પણ અંતે તેઓ અંદરથી એકલા જ રહી જાય છે.
૪. અહેસાસ ક્યારે થાય છે?
દગો દેનારને તરત જ સજા નથી મળતી. સજા ત્યારે મળે છે જ્યારે સમયનું પૈડું ફરે છે. જ્યારે એ જ વ્યક્તિ કોઈ બીજા પર અતૂટ વિશ્વાસ કરે અને તેને બદલામાં ‘ધોકો’ મળે, ત્યારે તેને સમજાય છે કે લોયલ્ટી (વફાદારી) શું હોય છે. બીજાની આંખના આંસુની કિંમત ત્યારે જ સમજાય છે જ્યારે પોતાની આંખમાંથી આંસુ વહે છે. કુદરતનો ન્યાય મોડો હોઈ શકે, પણ તે હંમેશા સચોટ હોય છે.
૫. તમારું આત્મસન્માન તમારી જવાબદારી
જો કોઈ વ્યક્તિ તમારી ભલાઈનો ‘પગલૂછણિયું’ (Doormat) તરીકે ઉપયોગ કરે છે, તો એ સંબંધમાંથી બહાર નીકળી જવું એ જ બુદ્ધિમાની છે.
નો કોન્ટેક્ટ રૂલ: જે વ્યક્તિ દરેક ડાળીએ બેસવાના શોખીન હોય, તેમને ક્યારેય કોઈ એક બગીચાની કદર હોતી નથી. મૌન અને દૂરી એ જ આવા લોકો માટે શ્રેષ્ઠ સજા છે.
જીવનમાં વફાદાર રહેવું એ સંસ્કાર છે, અને દગો દેવો એ ચરિત્રની નબળાઈ. જે તમારી નબળાઈ પર હસે છે તે ક્યારેય તમારો નથી હોતો. જે વારંવાર દગો આપીને ફરી માફી માંગે છે, તેને તમારા પ્રેમની નહીં પણ તમારી ઉદારતાની આદત પડી ગઈ છે.
યાદ રાખો, તમે કોઈના માટે ગમે તેટલા સારા બનો, પણ જો સામેવાળી વ્યક્તિના લોહીમાં જ બેવફાઈ હશે, તો તે મોકો મળતા જ ડંખ મારશે. એટલે જ, એવા દેવાદારોને કુદરતના ભરોસે છોડી દો, કારણ કે કુદરત જ્યારે વસૂલાત કરવા બેસે છે ત્યારે કોઈની ભલામણ ચાલતી નથી.

દર્શના પટેલ (નેશનલ મેડાલિસ્ટ)

