સુભાનપુરા વિસ્તારમાં રેસ્ટોરા સંચાલક પર ખુની હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, આકાર કોમ્પલેક્સમાં રહેતા ગૌરાંગ પઢીયાર વાઘોડીયા રોડ પર રેસ્ટોરન્ટ ધરાવે છે. તેમની રેસ્ટોરા પર કેટલાક શખ્સ જમાવા માટે ગયા હતા અને તે સમયે એક શખ્સે ફરિયાદીને ફોન પર હું શક્તિ બોલું છું,તારો માણસ જમવાનું આપતો નથી અને ખલાસ થઈ ગયું છે તેમ કહે છે.જો અમને જમવાનું નહીંં મળે તો તને ઘેર આવીને મારીશું તેવી ધમકી આપી ગાળો આપી હતી.
ત્યાર બાદ આરોપીએ સરનામુ માગતા ફરિયાદીએ સરનામુ આપ્યું હતું એટલે તમામ શખ્સ કારમાં આવ્યા હતા અને તેમણે ફરિયાદીને માર મારતા પોલીસે આ બનાવમાં શક્તિસિંહ વનરાજસિંહ રાણા,જતિન જેઠાભાઇ ધાગીયા,હેમેક્ષ રમેશ ભાઇ હોદાર અને મનિષ શંકરલાલ યાદવની ધરપકડ કરી હતી.પોલીસે આરોપીઓ પાસેથી નાની છરી પણ કબજે કરાઇ છે.


