શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હોળી અને ફાગણ સુદ પૂનમના તહેવારો નિમિત્તે દર્શન તથા આરતીના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રગ્રહણને કારણે પણ સમયપત્રકમાં વિશેષ બદલાવ કરાયો છે. આગામી તા. 02/03/2026, સોમવાર (ફાગણ સુદ ચૌદશ) ના રોજ હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરાયું છે.

આ દિવસે સવારે 7:30 થી 8:00 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8:00 થી 11:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12:00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી બાદ સાંજની આરતી 7:30 થી 8:00 કલાકે થશે અને રાત્રે 9:00 વાગ્યા સુધી દર્શન ચાલુ રહેશે.તારીખ 03/03/2026, મંગળવાર (ફાગણ સુદ પૂનમ) ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. આ દિવસે સવારે વહેલા 6:00 થી 6:30 કલાકે આરતી અને 6:30 થી 7:30 સુધી દર્શનનો લાભમળશે. સવારે 7:30 થી 08:00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે. સવારના 08:00 વાગ્યાથી રાત્રિના 09:30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે. જોકે, ભક્તોની સુવિધા માટે નૃત્ય મંડપમાંથી દર્શનનો સમય સવારે 09:45 થી બપોરે 02:00 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. ગ્રહણ બાદ રાત્રે આશરે 9:30 કલાકે શયનકાળની આરતી કરવામાં આવશે. ચંદ્રગ્રહણ અને હોળીના વિશેષ સમયપત્રક બાદ તા. 04/03/2026, બુધવાર (ફાગણ વદ એકમ) થી માતાજીના દર્શન અને આરતી તમામ ભક્તો માટે રાબેતા મુજબના સમયે શરૂ કરવામાં આવશે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જાહેર જનતા અને માઈ ભક્તોને આ સમયની નોંધ લઈને દર્શન માટે આવવા વિનંતી કરાઈ છે.
અહેવાલ : લક્ષ્મણ ઠાકોર ,અંબાજી

